Mysamachar.in:જામનગર
બિપરજોય વાવાઝોડાંને લઈને જામનગર વીજતંત્રનાં નેજા હેઠળ જામનગર તથા દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત મોરબી જિલ્લાના પણ કેટલાંક ગામો જામનગર વીજતંત્ર હેઠળ છે. આ તમામ વિસ્તારોમાં આશરે રૂ.824.13 લાખનું નુકસાન થયું હોવાનું આજે સવારે જામનગર સર્કલનાં અધિક્ષક ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર સર્કલનાં અધિક્ષક ઇજનેર એલ.કે.પરમારે જણાવ્યું છે કે, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના કુલ મળીને 1,289 ગામોમાં કાલે રાત્રિથી અત્યાર સુધીમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયા પછી, તંત્રની ટીમોએ આ પૈકી 654 ગામોમાં વીજપૂરવઠો પૂર્વવત્ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, કુલ 1,337 વીજફીડરોને અસરો પહોંચી હતી જે પૈકી 516 ફીડરોને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 4,028 વીજથાંભલાઓને નુકસાન થયું હતું અથવા પડી ગયા હતાં, જે પૈકી 278 થાંભલાઓને પૂર્વવત્ કરવામાં આવ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં જામનગર ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકામાં વધુ અસરો અને તકલીફો જોવા મળી રહી છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં સૌથી વધુ તકલીફ ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં જોવા મળી છે. મોરબી જિલ્લાના ગામોમાં સામાન્ય તકલીફો છે. ફીડરની વાત કરીએ તો, જામનગર શહેરમાં સૌથી વધુ 402 ફીડરમાં તકલીફો જોવા મળી ! ફીડરની દ્રષ્ટિએ જામજોધપુર તાલુકો તકલીફોમાં બીજા ક્રમે રહ્યો છે.
અધિક્ષક ઇજનેરે વધુમાં જણાવ્યું હતું કે, થાંભલાઓની વાત કરીએ તો હાઈ ટેન્શન અને લો ટેન્શન લાઈનના સૌથી વધુ 1,564 થાંભલાઓ ખંભાળિયા સબ ડિવિઝનમાં જમીન પર સૂઈ ગયા ! બીજા ક્રમે જામનગર (728) અને ત્રીજા ક્રમે કલ્યાણપુર તાલુકો (671) રહ્યો છે. ખંભાળિયા સબ ડિવિઝનમાં 100 TC નો ખુરદો બોલી ગયો છે, જામનગરમાં 25 અને ઓખામંડળમાં 22 TC ડેમેજ થયા. ત્રણેય જિલ્લા મળી કુલ 182 TC ડેમેજ થયા જે પૈકી માત્ર એક જ TC ને રેક્ટિફાય કરવામાં આવ્યું છે.
રૂપિયામાં નુકસાનીની વાત કરીએ તો, સૌથી વધુ નુકસાની (રૂ.339.54 લાખ) ખંભાળિયા સબ ડિવિઝનમાં નોંધાવા પામી છે. બીજા ક્રમે જામનગર તાલુકો અને શહેર (રૂ.145.32 લાખ) છે. ત્રીજા ક્રમે કલ્યાણપુર તાલુકો છે જ્યાં રૂ.128.11 લાખની નુકસાની થવા પામી છે. જામનગર જિલ્લામાં કુલ નુકસાન રૂ.248.48 લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ નુકસાન રૂ.575.10 લાખનું રહ્યું છે. જામનગર વીજતંત્ર હેઠળ આવતાં મોરબી જિલ્લાના ગામોમાં માત્ર રૂ.55 હજારનું નુકસાન થયું છે.