Mysamachar.in-જામનગર
જામનગર શહેર જિલ્લાની શાળાઓમાં શિક્ષકોના ઉપયોગ માટે સરકાર દ્વારા ચીનની બનાવટના ટેબલેટ અપાયા (આવી રીતે બીજા જીલ્લાઓમાં પણ અપાયા જ હશે) તેનો જુદી-જુદી કક્ષાએથી ખુબ જ વિરોધ થયો છતા શિક્ષણ તંત્રએ મચક આપી નથી તો બીજી તરફ વડાપ્રધાને લોકલ ને વોકલ બનાવવા (સ્થાનિક ઉત્પાદનનો પ્રચાર અને અપનાવવા) બાબતે કહ્યુ છે તે શીખામણ ગુજરાત સરકાર માટે તો માત્ર ઝાંપા સુધીની જ રહી હોય તેવુ લાગે છે, કોરોના વાયરસ ચીનથી ફેલાયો હોવાથી સમગ્ર વિશ્ર્વમાં ચીન સામે ફીટકાર લગાવવામાં આવી હતી અને ભારતમાં પણ ભારે વિરોધ વચ્ચે ચાઇનાની વસ્તુઓ સામે વિરોધ ઉઠયો હોવાથી સુરતમાં તો જનતાએ જાહેરમાં ચીનના ટી.વી. તોડી નાખ્યા હતા અને જામનગરમાં વેપારીઓએ ચાઇનાની વસ્તુઓનો વિરોધ કરીને વસ્તુઓ ન વેચવા સંકલ્પ લીધા હતા.
તે વચ્ચે રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન મારફત મોટા પ્રમાણમાં રાજ્યની શાળાના આચાર્યો માટે ચીન બનાવટના ટેબલેટ ખરીદ કરીને વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં જામનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના આચાર્યોને તાજેતરમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ. જામનગર સર્વ શિક્ષા અભિયાનના સુત્રોમાંથી મળતી વિગત મુજબ સમગ્ર રાજ્યની ધો.1થી 12 સુધીની તમામ શાળાનો તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્યો રોજે રોજ હાજરી પુરવાથી માંડીને ગાંધીનગર શિક્ષણ વિભાગ સાથે વીડીયો સંપર્કના માધ્યમથી વી.સી. યોજના સહિતની શિક્ષણને લગતી કામગીરી માટે ટેબલેટ ફાળવવામાં આવ્યા છે અને આ ટેબલેટ ચીનની બનાવટના હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ત્યારે જામનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના 876 આચાર્યોને તાજેતરમાં દરેક તાલુકા મથકે આ ચાઇનાના ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા બાદ ઘણા શિક્ષકોએ કચવાટની લાગણી અનુભવી હતી.
તેમજ અનેક જાગૃત નાગરીકોએ વિરોધ કરી ટેબલેટ પરત લેવા પણ માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં આત્મનિર્ભર બનવા માટે યોજના સરકારે બનાવી છે અને સ્વદેશી વસ્તુઓ પર ભાર મુકવા સુધીના સંદેશા વાયરલ કરીને લોક જાગૃતિ ફેલાવીને મોટાપાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવતા જનતામાં ચીન તરફથી નરફત પેદા કરવામાં આવી હતી પરંતુ સરકારના જ શિક્ષણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે શાળાના આચાર્યોને લીનોવા નામની ચાઇનાની કંપનીના ટેબલેટ આપવામાં આવતા ભારે ટીકા થઇ રહી છે. આમ એક તરફ સરકારના સ્વદેશી અભિયાન સામે શિક્ષણ વિભાગના ચાઇનાની વસ્તુઓ ઉપયોગ કરવાના અભિયાનની બેધારી નીતિ સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.