Mysamachar.in:જામનગર
રાજકોટની માફક જામનગરમાં પણ કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિ થોડાં થોડાં સમયે વિવાદમાં સપડાઈ રહી હોય, એવું સમજાઈ રહ્યું છે કે- અંદર કાંઈક સળગે છે અથવા ધૂંધવાઈ રહ્યું છે. આ ધુમાડો ઘણાંની આંખોમાં બળતરાં કરી રહ્યો છે, આંખમાં પાણી લાવવામાં નિમિત્ત બની રહ્યો છે. સમિતિ વધુ એક વખત વિવાદનું કેન્દ્ર બનવા પામી છે. આ વખતે ચેરમેન નિશાન પર છે અને આચાર્યો તથા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, 62 આચાર્યો અને શિક્ષકોને ચેરમેન દ્વારા ફરફરિયુ મોકલવામાં આવ્યું છે.
ગત્ 30 મી એપ્રિલે વડાપ્રધાનનાં ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ દેશભરમાં પ્રસારિત કરવામાં આવ્યો. આ પ્રસારણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા શાસકપક્ષ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી. કેટલાંકને તો ફરજ પણ પાડવામાં આવી ! જામનગરમાં કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિમાં પણ આવો પ્રયાસ થયો !
શિક્ષણ સમિતિની શાળાઓમાં કુલ 44 આચાર્યો ફરજ બજાવે છે. આ તમામ આચાર્યોને સમિતિનાં નિરીક્ષકોએ સોશિયલ મીડિયા મારફતે એમ કહ્યું કે, તમારી શાળામાં 30મી એપ્રિલે ‘મન કી બાત’ કાર્યક્રમ ગોઠવો. લોકોને ભેગા કરો. આ 44 પૈકી 20 આચાર્યોએ આ કાર્યક્રમ ગોઠવ્યો ન હતો. જેને કારણે સમિતિનાં ચેરમેન નારાજ થઈ ગયા. અને આ તમામ આચાર્યોને આ બાબતે ખુલાસો પૂછી લીધો. શિક્ષકોમાં ગણગણાટ એવો છે કે, આ પ્રકારનો ખુલાસો પૂછવાની ચેરમેનને સતા જ નથી ! આ કાર્યક્રમ ગોઠવવો ફરજનો ભાગ નથી.
આ ઉપરાંત અન્ય એક મુદ્દો પણ ચર્ચામાં છે. ગત્ પહેલી મે ના દિવસે જામનગરમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આચાર્યો અને શિક્ષકોને હાજરી આપવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, 42 આચાર્યો અને શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતાં. આ ગેરહાજર આચાર્યો અને શિક્ષકોને પત્ર મોકલી ચેરમેને ખુલાસાઓ પૂછયા છે. શિક્ષકોનો મત એવો છે કે, આ કાર્યક્રમમાં હાજર રહેવું ફરજિયાત નથી હોતું. હાજરી ફરજનો ભાગ નથી. અને ખુલાસો પૂછવાની સતા વહીવટી વડાને હોય છે. પદાધિકારીઓ ખુલાસો ન માંગી શકે.
-ચેરમેનની પ્રતિક્રિયા ઉપલબ્ધ થઈ શકી નથી…
આ સમગ્ર પ્રકરણ અંગે સમિતિનાં ચેરમેનની પ્રતિક્રિયા જાણવા માટે Mysamachar.in દ્વારા એક કરતાં વધુ વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો ટેલિફોનીક સંપર્ક શક્ય ન બનતાં, તેઓની પ્રતિક્રિયા ઉપલબ્ધ થઈ શકી નથી.
-શાસનાધિકારી ફાલ્ગુની પટેલ કહે છે..
આ પ્રકરણ સંબંધે સમિતિનાં વહીવટી વડા(શાસનાધિકારી) ફાલ્ગુની પટેલે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આ પ્રકારના ખુલાસાઓ ચેરમેન કક્ષાએથી માંગવામાં આવતાં હોતાં નથી. નંબર બે, હું આ પ્રકરણમાં ક્યાંય ઈનવોલ્વ નથી. મારે આ બાબતમાં કશું કહેવા કે કરવાનું રહેતું નથી. આચાર્યો અને શિક્ષકો ખુલાસાઓ ન આપે તો પણ, શાસનાધિકારી તરીકે મારે આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવાની થતી નથી, કેમ કે રાજય સરકારની જોગવાઈ અનુસાર – આ બાબત સાથે શાસનાધિકારી કોઈ પણ રીતે સંકળાયેલા હોતાં નથી.
-નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કહે છે….
સંઘનાં વડા ચંદ્રકાંત ખાખરિયાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના ખુલાસાઓ પૂછવાની ચેરમેનને કોઈ સતા હોતી નથી. શિક્ષકોને ફરજના ભાગરૂપે ઉપરોકત કાર્યક્રમો સાથે સાંકળવામાં આવ્યા ન હોય, શિક્ષકો કે આચાર્યો માટે આ પ્રકારની હાજરી કે કાર્યક્રમ આયોજિત કરવાની જવાબદારી બંધનકર્તા નથી. કેટલાંક આચાર્યો અને શિક્ષકો કાર્યક્રમોમાં હાજર પણ હતાં પરંતુ વેકેશન પીરીયડ હોય, ઘણાં આચાર્યો અને શિક્ષકો શહેરમાં હાજર ન પણ હોય, સરકાર દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને આ પ્રકારની હાજરી સ્વૈચ્છિક હોય છે, ફરજિયાત નથી હોતી તેથી આચાર્યો અને શિક્ષકોને ખુલાસાઓ પૂછવાની આ સમગ્ર બાબતને શિક્ષક સંઘ દ્વારા વખોડી અને સરકારમાં પણ આ અંગે રજૂઆત કરશે તેમ જણાવ્યું.