Mysamachar.in:જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં થોડાં થોડાં સમયે પૂરવઠાતંત્ર સંબંધિત સમાચારો બહાર આવતાં રહે છે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યભરના લાખો રાશનકાર્ડધારકોને આપવાના થતી અનાજ સહિતની ચીજોના અનુસંધાને અવારનવાર વિવિધ પ્રશ્નો ઉઠતાં રહેતાં હોય છે. હાલમાં પણ આ પ્રકારનો એક પ્રશ્ન ઉભો થયો છે, આજની તારીખ સુધી- આ મહિનાનો અનાજ વગેરેનો જથ્થો સસ્તા અનાજના દુકાનદારોની દુકાનો સુધી પહોંચ્યો નથી. જેને પરિણામે હજારો રાશનકાર્ડધારકો એ ચિંતાઓમાં છે કે, આ મહિનાનો અનાજ વગેરેનો જથ્થો મળશે કયારે ? બીજી તરફ હકીકત એ છે કે, આ પ્રશ્નનો જવાબ કોઈને હાલ ખબર નથી.
સામાન્ય રીતે, દર મહિને જામનગર શહેરની સસ્તા અનાજની 85 દુકાનોને 1 થી 10-12 તારીખ દરમિયાન અનાજ સહિતની વિતરણની ચીજોનો જથ્થો બેડેશ્વર ખાતે આવેલાં ગોડાઉનથી સપ્લાય થતો હોય છે, પરંતુ આ મહિને આ કામગીરીઓ હજુ શરૂ થઈ નથી તેથી દુકાનદારો અને કાર્ડધારકો બધાં જ ચિંતાગ્રસ્ત છે, શું થશે? તેની ચિંતાઓ છે, અનાજ સહિતની ચીજો મેળવતાં હજારો લોકોના ઘરે ચૂલાઓ કયારે પેટશે ? ખાસ કરીને ગરીબોની આ સમસ્યા વધુ ઘેરી હોય છે.
અત્યંત આધારભૂત સૂત્ર કહે છે: મામલો ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અને સરકાર વચ્ચે અટવાયેલો છે, સરકાર છેલ્લા ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટરને ભાવવધારો આપતી નથી, કોન્ટ્રાક્ટર કહે છે જૂના ભાવમાં કામ કરવું પોસાતું નથી, ભાવવધારો આપો. સરકાર છેલ્લા આઠ-નવ માસથી આ મુદ્દે નિર્ણય લેતી ન હોય, કોન્ટ્રાક્ટરે ગત્ 31 ડિસેમ્બર પહેલાં જ જામનગર પૂરવઠા તંત્રને લેખિતમાં જાણ કરી દીધી છે કે, એક જાન્યુઆરીથી માલ સપ્લાય બંધ થશે. આ મુદ્દે જામનગર કક્ષાએ પૂરવઠા વિભાગે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી નથી, જિલ્લા પૂરવઠા અધિકારીની આ મુદ્દે પ્રતિક્રિયા મળી શકી નથી, તેઓનો મોબાઇલ સ્વિચ ઓફ મળી રહ્યો છે.
શહેરની માફક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સમસ્યા છે, જિલ્લાના 350 જેટલાં દુકાનદાર અનાજ સહિતની ચીજો મળવાના ઈંતજારમાં છે, જિલ્લા વહીવટી તંત્ર આ આખા ચિત્રમાં જાણે કે કયાંય નથી. હજારો રાશનકાર્ડધારકોનો પ્રશ્ન હોવા છતાં સત્તાવાર કોઈ જાહેરાત નહીં. આ ચિંતાપ્રેરક સ્થિતિમાં હજારો કાર્ડધારકોનું કોણ ?! તેઓ આ મુદ્દે અનાથ છે ?!
હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સમસ્યા ગંભીર હોય Mysamachar.in દ્વારા વારંવાર આ માટે જિલ્લા પૂરવઠા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવેલો, અંતે તેઓનો ટેલિફોનિક સંપર્ક શક્ય બન્યો હતો. તેમણે કહ્યું: આ ઈસ્યુ આજે શોર્ટ આઉટ થઈ શક્યો છે, આજથી હવે ક્રમશ: દુકાનદારોને અનાજ સહિતની ચીજો સપ્લાય કરવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી હોય, આગામી દિવસોમાં તમામ દુકાનદારોને ત્યાં જથ્થો પહોંચશે.