Mysamachar.in:જામનગર
જામનગરની જાણીતી સંસ્થા એવી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરમાં રક્ષાબંધન પર્વ ભવ્ય અને ગૌરવપૂર્વક યોજાયું. રક્ષાબંધન પર્વ નિમિતે ”સંસ્થા બંધુ’ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને જાણીતા દાતા અમૃતલાલ ભારદિયાના સાન્નિધ્યમાં ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૃતલાલ ભારદિયાએ સંસ્થાને રૂા.ત્રીસ લાખનો ચેક અર્પણ કરી દાનનો મહીમા વધાર્યો હતો. આ યોગદાનમાંથી પ્રેરણા લઈ સંસ્થાના પૂર્વ મંત્રી સ્વ.પુષ્પાબેન પંડયાના ભત્રીજા કિશોરભાઈ ત્રિવેદી તરફથી રૂા. દસ લાખનું અનુદાન તથા સંસ્થા સંચાલિત હાઈસ્કૂલ વિભાગના પૂર્વ શિક્ષિકા અકલનંદાબેન ઝવેરી તરફથી રૂા. છ લાખનું અનુદાન રક્ષાબંધન પર્વ પ્રસંગે, સંસ્થા દ્વારા નિર્માણાધિન ‘શિક્ષણ સંવર્ધન કેન્દ્ર’ નિમિતે પ્રાપ્ત થયેલ છે. આ કેન્દ્ર લગભગ રૂા. સવા કરોડના ખર્ચે નિર્માણ પામી રહયું છે. આ માતબર યોગદાનથી સમાજની અનેક દીકરીઓને શિક્ષણ મેળવવામાં સહાયતા થશે તેમ સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર જણાવે છે.
આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ સંસ્થાબંધુ અમૃતલાલ ભારદિયાનું સંસ્થાના પ્રમુખ કરશન ડાંગર, ટ્રસ્ટીઓ હસમુખ હિંડોચા તથા માનદમંત્રી હિરાબેન તન્ના તથા સુચેતાબેન ભાડલાવાળાએ શાલ અને સ્મૃતિચિન્હથી સન્માન કર્યું હતું. જે પ્રસંગે વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર સુભાષ જોશીએ અમૃતલાલ ભારદિયાનું રજવાડી સાફા સાથે સન્માન કરી દાતાને બિરદાવ્યા હતા,
આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને અતિથિનો પરીચય આપતાં સંસ્થાના પ્રમુખ કરશન ડાંગરે સૌને પર્વની શુભકામનાઓ આપી, સંસ્થાબંધનું સુત્રમાલાથી સ્વાગત કરી અમૃતલાલ ભારદિયાની ધાર્મિક તથા સામાજિક સેવાઓને બિરદાવી હતી. સંસ્થાની તમામ દીકરીઓને તે દિવસે સ્વાદિષ્ટ ભોજન આપી સંસ્થા બંધુ તરીકે હજારો બહેનોના આર્શિવાદ મેળવી આપ આગળને આગળ આવા કાર્યોમાં સંસ્થાને સમાજને, અવિરત લાભદાયી બનો તેવી ભાવના વ્યકત કરી હતી. આ પ્રસંગે વિશ્વકર્મા વાડીના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા અને ટ્રસ્ટી દિલીપમામા અને હાજર રહ્યા હતા જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્થ પંડ્યાએ કર્યું હતું.