Mysamachar.in:જામનગર
ગુજરાતી ભાષામાં એક ટૂંકી ઉપદેશકથા છે. કૂતરાંની સોબત કરવાથી બંને તરફ દુઃખ. જો કૂતરું રીઝે એટલે કે તેને તમારાં તરફ લાગણી જન્મે તો, તે તમારૂં મુખ ચાટે ! જે આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય ન લેખાય. અને જો કૂતરું ખિજાય જાય, ગુસ્સે થઈ જાય, તો પિંડીએ બચકું ભરી લ્યે ! એટલે ગુજરાતી ભાષામાં કહે છે : સોબત કરતાં શ્વાનની, બે બાજુનું દુઃખ….જો કે આ ગુજરાતી કહેવત છતાં, સંખ્યાબંધ લોકો એવાં છે જેઓને કૂતરાંઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. આ અબોલ પ્રાણી પ્રત્યે ઘણાં બધાં લોકો વિશેષ પ્રેમ અને લાગણી ધરાવતાં હોય છે અને શ્વાનની વફાદારી તો નોંધપાત્ર ગુણ છે જ. અહીં સાથે સાથે એ પણ યાદ રહે કે, જામનગર શહેરમાં શ્વાનનો બેગજબ ત્રાસ છે. મોટાભાગના વિસ્તારોમાં કૂતરાઓનો ભયંકર ત્રાસ છે.
જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કૂતરાઓથી ફફડાટ અનુભવી રહ્યા છે. કેમ કે, કૂતરું કરડવાના બનાવોની સંખ્યા મોટી હોય છે. ઉપરાંત આ વેદના પણ ખતરનાક હોય છે. અને તેની સારવાર પણ લાંબી અને માણસને થકવી દે તેવી હોય છે. આ ઉપરાંત સારવાર છતાં ચેપનો, હડકવાના ચેપનો ભય તો રહે જ છે ! જેને કારણે લોકો કૂતરાઓના ત્રાસથી ફફડી રહ્યા છે. શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા અને કૂતરાઓનો ત્રાસ હદ વટાવી ગયા છે. પણ જામનગર મહાનગરપાલિકા મૌન છે ! ન અધિકારીઓને, ન પદાધિકારીઓને નગરજનોની ચિંતા છે !
નવાઈની વાત એ છે કે, શહેરમાં દરરોજ કેટલાં નગરજનોને કૂતરાં કરડે છે ?! તે આંકડાઓ કોર્પોરેશનની હેલ્થ એટલે કે આરોગ્યશાખાને ખબર નથી ! કારણ કે તેઓ આ દિશામાં કોઈ જ કામગીરી કરતાં નથી. તેઓને આવી કોઈ જ જવાબદારી સોંપવામાં જ નથી આવી ! એ જ રીતે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તકની વેટરનરી એટલે કે પશુ શાખાને પણ આવી કોઈ જવાબદારી સોંપવામાં જ નથી આવી ! ટૂંકમાં, કુતરાના ત્રાસ મુદ્દે જામનગર મહાનગરપાલિકા કોઈ જ કામ કરતી નથી ! નગરજનોનાં નસીબ, તેઓ જાણે અને કૂતરાં જાણે. કોર્પોરેશનને કોઈ જ લેવાદેવા નહીં.
શહેરમાં કૂતરાઓની સંખ્યા નિયંત્રણમાં રાખવા કોર્પોરેશન કૂતરાઓનુ ખસીકરણ પણ કરતું નથી ! અને કૂતરાંઓ નગરજનોને કરડે પછી નગરજનો પર કોઈ જોખમ ન સર્જાય તે માટે કૂતરાંઓને રસી આપવાની કામગીરી, રસીકરણ પણ કોર્પોરેશન કરતું નથી ! જાણે કે કૂતરાં કોર્પોરેશનનો વિષય જ નથી !! કોર્પોરેશનને નગરજનોની ચિંતા નથી ?! નગરજનો કોર્પોરેશનનાં કરદાતાઓ નથી ?! અને મહ્ત્વનો મુદ્દો એ પણ છે કે, રાજ્યભરમાં અન્ય કોર્પોરેશન કૂતરાં મુદ્દે જાતજાતની કામગીરી કરે છે, જવાબદારી નિભાવે છે ત્યારે, જામનગર કોર્પોરેશન જવાબદારીથી ભાગે છે કેમ ?!
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એક સંસ્થાએ જામનગરમાં કૂતરાના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરેલી, ખૂબ જ પ્રશંસાઓ પણ મેળવેલી. આ સંસ્થાનો ઘણાં સમયથી કોઈ પત્તો નથી !
-દર મહિને આઠસોથી વધુ નગરજનોને કરડે છે કૂતરાં… !!
સમગ્ર શહેરમાં કૂતરાંનો ત્રાસ છે. ભયાનક ત્રાસ છે. કોર્પોરેશન મૌન છે ! અધિકારીઓ કે પદાધિકારીઓ – નગરજનોની આ મુદ્દે ચિંતા કરતાં નથી ! જીજી હોસ્પિટલનાં આંકડા કહે છે: રોજ સરેરાશ 25-30 લોકોને કૂતરાં કરડી રહ્યા છે ! અને કૂતરું કરડયા પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં લોકોની સંખ્યા તો અલગ !
-2023 નાં આંકડા જીજી હોસ્પિટલનાં રેકોર્ડરૂમ મુજબ આ છે :
જાન્યુઆરી મહિનામાં 837 લોકોને કૂતરાં કરડયા ! ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં 834 લોકોને કૂતરાં કરડી ગયા. માર્ચ મહિનાનો આંકડો 817 છે અને એપ્રિલ-2023 માં 761 લોકોને કૂતરાં કરડી ગયા ! કૂતરાંઓનો આટલો ત્રાસ છતાં કોર્પોરેશન નિશ્ચિંત !!