Mysamachar.in: જામનગર
જામનગર, ગુજરાત સહિત દેશભરમાં જ્યારથી GST પ્રથા અમલમાં આવી છે ત્યારથી કરદાતાઓ હાલાકીઓ વેઠી રહ્યા છે અને તંત્ર ઈન્સ્પેક્ટરરાજ ચલાવી કરદાતાઓને દબડાવી રહ્યું છે. અચરજની વાત એ પણ છે કે, તંત્ર અને કરદાતાઓ વચ્ચેની નારાજગી અને પરેશાનીઓ દૂર કરવામાં સંબંધિતો સફળ રહેતાં ન હોય, લાખો વેપારીઓ અને ઉદ્યોગકારો બિચારાંની હાલત અનુભવી રહ્યા છે, તેઓની વેદનાઓ મીડિયા સિવાય કયાંય પડઘાતી નથી.
જૂલાઈ-2017માં જામનગર સહિત દેશભરમાં GST નો અમલ શરૂ થયો. તેના કાયદાઓ અટપટા છે. કરદાતાઓ પરેશાન છે. તંત્ર કરચોરીના બધાં જ કિસ્સાઓ પર ધ્યાન આપતું નથી. અને, ગુનાહિત માનસ ધરાવતાં તત્વો સરકારની એટલે કે પ્રજાની તિજોરીને અબજો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. બીજી તરફ શાંતિથી ધંધો કરતાં વેપારીઓ અને ઉદ્યોગકારોની હાલાકીઓનો કોઈ પાર નથી.
સાત વર્ષ અગાઉ આ કાયદાનો અમલ શરૂ થયો ત્યારે, એવી વાત કરવામાં આવી હતી કે, શરૂઆતના બે વર્ષ દરમિયાન નાની નાની ભૂલો માટે કરદાતાઓને પરેશાન કરવામાં નહીં આવે, નોટિસો આપવામાં આવશે નહીં. આ આશ્વાસનનું સૂરસૂરિયું થયું છે. હજારો કરદાતાઓને નોટિસ મળી રહી છે. અને, એકતરફી કાર્યવાહીઓ પણ ચર્ચાઓમાં છે. કરદાતાઓમાં ફફડાટ છે.
હાલમાં જામનગર સહિત બધે જ કરદાતાઓને અગાઉના વર્ષો માટે નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેને કારણે કરદાતાઓમાં કચવાટ છે. કારણ કે, GST નો કાયદો આવ્યો ત્યારે કરદાતાઓ તો ઠીક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટસને પણ તેની પૂરતી સમજ ન હતી. તેથી તે સમયે નાની નાની ભૂલો શક્ય હતી. એ સમયે એવું બનતું હતું કે, કોઈ પરિપત્ર બહાર પડે, તે અંગે કરદાતાઓને સમજણ આપવામાં આવે, એ જ અરસામાં બીજો સુધારો આવી જતો. ફરી બધાં કરદાતાઓ ગોથે ચડી જાય. આવું ઘણો સમય ચાલેલું. સરકારે 1,000 કરતાં વધુ વખત સુધારાઓ જાહેર કર્યા હતાં.
હાલમાં તંત્ર દ્વારા જૂની આકારણીઓ થઈ રહી છે. જે અનુસંધાને હજારો કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે. સૂત્ર જણાવે છે,જામનગર કચેરીએ આવી 1,600 જેટલી નોટિસ કરદાતાઓને મોકલાવી છે. સર્વત્ર દોડધામ છે. કોઈએ ઓછો ટેક્સ ભર્યો હોય કે બોગસ બિલિંગ વગેરે હોય અને નોટિસ આપે એ સમજાય. પરંતુ ટેક્સ ક્રેડિટ વગેરેમાં ભૂલ થઈ ગઈ હોય એવા કિસ્સાઓમાં પણ નોટિસ આપવામાં આવી રહી છે. IGST અને CGST સંબંધિત પ્રશ્નો ઘણાં છે.
ઘણાં કેસોમાં એકતરફી કાર્યવાહીઓ થતી હોવાની પણ ચર્ચાઓ છે. ઘણાં કેસોમાં નાની ભૂલો બદલ મોટા દંડ વસુલ થતાં હોવાની રાડ છે. ઘણાં કેસમાં વ્યાજ પણ કરદાતાઓને ભારે પડે છે. ખાસ કરીને બેંક ખાતાં સીલ અને મિલ્કત જપ્તી જેવા મામલાઓ કરદાતાઓને બહુ અકળાવે છે. ઘણાં કેસમાં 25,000 કરતાં ઓછી ટેક્સ ડિમાંડ હોય છે, તેમાં એ પણ જોવામાં આવતું નથી કે કરદાતા સાચો છે કે ખોટો, બસ નાણાં ફરજિયાત રીતે ભરી જ દેવાના !! દલીલો નહીં કરવાની. આ પ્રકારની સ્થિતિને કારણે અપીલોનો ઢગલો છે. જેના નિકાલ આવતાં નથી. ઘણાં કિસ્સાઓમાં કાનૂની ખર્ચ ટેક્સ ડિમાંડ કરતાં વધતો હોય, કરદાતાઓ નાછૂટકે રૂપિયા ભરી કેસ બંધ કરાવવાનું પસંદ કરતાં હોય છે.