Mysamachar.in:જામનગર
લાલિયાવાડી લગભગ બધાં જ ક્ષેત્રોમાં ચાલી રહી છે અને સૌથી વધુ તકલીફો બિચારાં છાત્રો વેઠી રહ્યા છે. વાલીઓ ચિંતિત છે. સમયસર નાણાં આપ્યા પછી પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહી શકતાં નથી, કોઈ ને કોઈ સમસ્યાઓ જોવા મળી રહી છે ! હાલમાં કોલેજોમાં સમસ્યા એ છે કે, કોલેજ શરૂ થઈ ગઈ છે પરંતુ પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસક્રમ જ તૈયાર નથી ! છાત્રોને ભણાવવું શું ?! આ પ્રશ્ન કોલેજ સંચાલકો અને પ્રાધ્યાપકોને સતાવે છે !
સમગ્ર રાજ્યમાં શિક્ષણક્ષેત્રે ચિંતા છે. જામનગર સહિત રાજ્યભરમાં કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી લગભગ 80-90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. કોલેજોમાં વર્ગો શરૂ થઈ ગયા છે. પરંતુ અભ્યાસક્રમ, SOP તથા બાસ્કેટ તૈયાર થયાં ન હોય, આ લાખો છાત્રોને ભણાવી શકાતાં નથી ! કોલેજોમાં તેઓને અભ્યાસક્રમની ગેરહાજરીમાં જનરલ અંગ્રેજી જેવું જનરલ નોલેજ આપવામાં આવી રહ્યું છે ! ટૂંકમાં, લાખો છાત્રોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને હજારો પ્રોફેસર નવરાધૂપ બેઠાં છે ! સરકાર પાસે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલમાં મૂકવા બે થી અઢી વર્ષનો સમય હતો પરંતુ ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગે આ કિંમતી સમય વેડફી નાખ્યો છે જેની નુકસાની લાખો છાત્રો અને વાલીઓનાં ખાતામાં ઉધારાઈ રહી છે ! પરિણામે છાત્રો તથા વાલીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળે છે.