Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનીંગ વિભાગની મીઠી નજર હેઠળ શહેરમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ચુક્યા છે, છતાં પણ લગતની “ઓથ” મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરનાર આસામીઓને સામે મનપાની ટાઉનપ્લાનીંગ શાખા બિલાડી જેમ આંખ બંધ કરીને દૂધ પીવે તેમ માત્ર દૂધ પી રહી છે, એટલે કે તમાશો જોઈ રહી છે, આમ તો ગરીબનું ઝુંપડું હોય કે કોઈએ નાનો એવો રૂમ બનાવ્યો હોય તો પણ મનપાની બહાદુર ટીમ તોડવા નીકળી પડે નોટીસો અપાઈ ફરી પાછી અપાઈ..પછી કાઈ થાય ના થાય…એવામાં ગેરકાયદેસર બાંધકામોની હારમાળા સર્જી રહેલો રણજીતસાગર રોડ મનપાની ટીમને કેમ દેખાતો નથી કે પછી.?
થોડા દિવસો પૂર્વે જ એક કોર્પોરેટરના પરિવારના સભ્ય દ્વારા મંજૂરી વિના દુકાનોના બાંધકામનો મુદ્દો આ રોડ પર ચર્ચામાં આવ્યો હતો, ત્યાં જ શહેરની એક જાણીતી “ડેરી” ના પરિવાર દ્વારા રણજીતસાગર રોડ પર વિશાલ બેકરી આસપાસના ભાગે એક રહેણાક મકાનનું કોઈપણ જાતની મંજૂરી લીધા વિના બાંધકામ થઇ રહ્યું હોવાનું ફરિયાદ થઇ છે, અને ૭૦% જેટલું બાંધકામ પૂર્ણ થઇ ગયું ત્યાં સુધી મનપાની ટાઉનપ્લાનીંગ શાખાને આ બાબતની જાણ ના હોય તે કઈ રીતે માની શકાય.? ત્યારે શહેરની એક જાણીતી “ડેરી” પરિવારના એક સભ્યનું જ આ બાંધકામ હોવાનું અધિકારી સ્પષ્ટ કરે છે. ત્યારે હવે મનપાની ટીમ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું છે, કે પછી ગરીબોના ઝુપડા પર જ હથોડા પડતા રહેશે.
-એટીપીઓનો વાતનો સ્વીકાર પણ કાર્યવાહી ક્યારે.?
આ મામલે મનપાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર ઉર્મિલ દેસાઈની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ વિશાલ બેકરી નજીકના આ બાંધકામ અંગેની વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે આ બાબત અમોને ધ્યાને આવી છે અને અમે જે તે આસામીને નોટીસ આપી છે, અને મંજૂરી ના હોય હવે ૨૬૦ મુજબ ની નોટીસ આપવામાં આવશે.