Mysamachar.in-જામનગર:
સરકારમાં ઘણાં વિભાગો એવાં હોય છે જેમાં જવાબદાર અધિકારીઓ રાજાપાઠમાં હોય છે, તેઓને ઇચ્છા થાય એ પ્રમાણે કચેરીનો વહીવટ ચલાવતાં રહે ! ન તેઓને કોઈ ઉપરી અધિકારી કશું પૂછે, ન જનપ્રતિનિધિઓને કશો ખ્યાલ હોય કે, ફલાણી કચેરી અરજદારોના કામો કરે છે કે કેમ ? સંબંધિત ક્ષેત્રમાં આવી કચેરીઓ ફરજો મુજબનાં કામો કરે છે ? કે, બીજું કાંઈ કરે છે ? ( દાખલા તરીકે ભ્રષ્ટાચાર અથવા તોડપાણી). આવી કોઈ જ દરકાર કોઈ લેતું નથી ! જાણે કે, રામરાજ !!
જામનગરમાં સાત રસ્તા નજીક આવેલા હેડગેવાર ભવનમાં બેસતી ઈન્ડસ્ટ્રીયલ સેફટી કચેરીએ સમગ્ર જામનગર શહેર જિલ્લાના ઉદ્યોગો પર ધ્યાન આપવાનું હોય છે, ઔદ્યોગિક સલામતી જાળવવાની હોય છે. સરકારનાં નિયમોનું સંબંધિતો પાસે પાલન કરાવવાનું હોય છે. આ ઉપરાંત શહેર જિલ્લામાં ચાલતાં બાંધકામોમાં પણ તેઓએ કામદારોની વગેરે સલામતીનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ આ કચેરીમાં રામરાજ છે. કચેરીનાં બંને અધિકારીઓ આખો દિવસ ક્યાં હોય છે ? શું કરતાં હોય છે ?! કોઈને કશી ખબર નથી હોતી ! કોઈ અરજદાર કામસર ઓફિસ પહોંચે તો જવાબ મળે: સાહેબ ફિલ્ડમાં છે. ફિલ્ડમાં આ કચેરી કરે છે શું ?! તે અંગે ક્યારેય કોઈ જ માહિતી કે વિગતો આ કચેરી જાહેર કરતી નથી !
આ કચેરીનાં અધિકારીઓ પોતે કલેકટર કચેરીએ બેઠકમાં વ્યસ્ત હોય છે એવો પ્રચાર પોતાની ઓફિસમાં ગેરહાજરી છૂપાવવા કરતાં રહે છે, વાસ્તવિકતા એ છે કે, આ બેઠકોમાં આ કચેરીનાં અધિકારીઓ શું કરે છે ? તે પણ કયારેય જાહેર થતું નથી ! આ કચેરી ઘણાં સમય પહેલાં શહેરમાં ગુરૂદ્વારા નજીક કાર્યરત હતી, સાત રસ્તા ખાતે આ જૂનાં એડ્રેસવાળું બોર્ડ લટકે છે ! કલ્પના કરો, આ કચેરીનાં અધિકારીઓ પોતાનાં નિયમો અનુસારનાં કામો પ્રત્યે કેટલાં બેપરવા છે ! જામનગર શહેર જિલ્લામાં હજારો ઉદ્યોગ છે, હજારો બાંધકામો ચાલતાં રહેતાં હોય છે આ બધાં સ્થળોની રૂબરૂ મુલાકાત વખતે, આ કચેરીનાં અધિકારીઓ શું કામો કરતાં હશે ?! એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો નથી.
આ કચેરી પોતાની કામગીરીઓ છૂપાવી રહી હોય, તેઓની નિયતમાં રહેલી ખોટ આપોઆપ બહાર ડોકાઈ રહી છે. અને, આ કચેરીમાં સંપૂર્ણ ‘રામરાજ’હોય, આપણે સૌ સમજી શકીએ છીએ કે, શહેર જિલ્લામાં ઉદ્યોગ તથા બાંધકામોનાં ક્ષેત્રમાં નિયમો અને કાયદાઓનું પાલન કામદારોની સલામતી સંદર્ભે કેટલું થતું હશે !!