Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, રસ્તે રઝળતા અથવા રઝળાવવામાં આવતા પશુઓથી ક્યારેક કોઈના મોત તો ક્યારેક કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બને છે, આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોચતા હાઈકોર્ટે પણ આ મામલે નારાજગી દર્શાવી અને સરકારને કડક પગલા લેવાના નિર્દેશો કરતા જામનગરમાં પણ જીલ્લા કલેકટર બી.એ.શાહ, કમિશ્નર ડી.એન.મોદી અને એસપી પ્રેમસુખ ડેલુએ જામનગર શહેરમાં કડક હાથે પગલા લેવા ટીમોને સ્પષ્ટ નિર્દેશો આપી દીધા છે.
જામનગર મહાનગરપાલિકા ખાતે ગતરોજ રવિવાર રજાના દિવસે પણ ત્રણ ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી અને શહેરમાં જાહેર માર્ગો પર છોડવામાં આવતા ઢોર વિષયક આકરા પગલાં લેવામાં આવશે તે સહિતની બાબતે મળેલી ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી,ગુજરાત હાઈકોર્ટેના નિર્દેશ અને સુચનાઓ બાદ શહેરમાં પ્રવર્તતી રખડતા ઢોર અંગે વિગતવાર રજુ થયેલ રિપોર્ટ અન્વયે હાથ ધરવાની થતી કામગીરી સબબ આ ખાસ બેઠકમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ કરવા એક્શન પ્લાન તૈયાર કરવા તથા જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારો વેચાણ કરતા આસામીઓ ઉપર એફ.આઈ.આર નોંધવા તથા ઢોર નિયંત્રણ પોલીસી-2023 અંગેની ચર્ચા કરવામાં આવી હતી,
વધુમાં છેલ્લા 2 દિવસમાં 13 ઢોર માલિકો સામે જાહેરમાં ઢોર છોડવા સબબ પોલીસ ફરિયાદ નોધાવવામાં આવેલ છે, આગામી સમયમાં શહેરમાં ઢોર પકડવાની કામગીરીમાં પોલીસ પોલીસ બદોબસ્ત, વિડીયોગ્રાફર, અને ડેઝીગ્નેટે અધિકારી સાથેની પણ સાથે રહશે અને આ કાર્યવાહી સઘન બનાવવામાં આવશે અને ઢોરને રસ્તે રઝળતા મૂકી દેનાર ઢોર માલિકોને કોઈ જાતની શેહશરમ વિના કાર્યવાહી કડક કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આ મીટીંગમાં આપી દેવામાં આવી છે.