Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાને પોતાનો રાજદરબાર સમજતાં એક અતિ વિવાદીત અધિકારીના ગ્રહ હવે વંકાયા છે, હવે આ અધિકારીને તેના નજીકના ગણાતા એવા ગોડફાધર પણ બચાવી શકશે નહીં એવું દેખાઈ રહ્યું છે. કારણ કે, કમિશનરે રવિવારે આ વિવાદી અધિકારીની બદલી કરી નાંખી અને બીજે જ દિવસે સોમવારે આ અધિકારીને લાંબી અને કડક ભાષામાં લખાયેલી ધગધગતી નોટિસ પકડાવી દેતા આ મામલો જામનગર મનપામાં ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, આ નોટિસનો આજે સાંજ સુધીમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.
કમિશ્નરનો ચાર્જ લીધા બાદ એક અલગ જ સ્ટાઈલથી ધોકો પછાડી રહેલા કમિશનર દિનેશ મોદીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં અગાઉ રાજાશાહીથી નોકરી કરતાં દિપક શીંગાળા નામના વિવાદી અધિકારીને બદલી કરીને હાઉસ ટેક્સ શાખામાં મૂકી દીધાં પછી સોમવારે તેને નોટિસ પણ આપી છે. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આ અધિકારીને ફરજમાં ગંભીર બેદરકારીઓ બાબતે નોટિસ આપવામાં આવી છે. આ અધિકારી સોલિડ વેસ્ટ વિભાગમાં યોગ્ય કામગીરીઓ કરતાં ન હતાં. વાવાઝોડા જેવી કુદરતી આફતના કપરા સમયે પણ આ અધિકારીએ નોકરી પરથી ગુટલી મારી હતી ! આ અધિકારીએ કોર્પોરેશનના પરિપત્રની સૂચનાઓનો પણ ઉલાળિયો કર્યો છે. સફાઈ અંગેના કમિશનરના સિટી રાઉન્ડ સમયે પણ આ અધિકારી ગેરહાજર માલૂમ પડયા હતાં.
શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતા અંગે કોર્પોરેશન દ્વારા યોગ્ય કાળજી લેવામાં ન આવે તો લોકોના આરોગ્ય સામે જોખમ સર્જાઈ શકે, આમ છતાં આ વિવાદી અધિકારીએ મેળામાં પણ ધ્યાન આપ્યું નથી ! એમ ખુદ કમિશનર કહે છે ! આ અધિકારીને કારણે કોર્પોરેશનની આબરૂ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય, નોટિસ ફટકારવામાં આવી છે. આ અધિકારી કોર્પોરેશનમાં સંકલન બેઠકમાં પણ ગેરહાજર રહે છે ! રાજકોટથી અપડાઉન કરતાં હોય વારંવાર ગેરહાજર રહે છે. નોકરી રાજાશાહીથી કરે છે. જે ખેલ હવે નહિ ચાલે તેવું સ્પષ્ટ વાતાવરણ બની રહ્યાનું જાણવા મળે છે.
-આ અધિકારી જે ખીલાના જોરે કૂદે છે…!
દિપક શીંગાળા નામના આ અધિકારી કમિશનર જેવા સૌથી મોટા બોસને પણ ગણકારતા નથી ! આ સ્થિતિમાં સમજી શકાય એવી વાત છે કે, આ અધિકારી સાથી અધિકારીઓ, પદાધિકારીઓ કે કોર્પોરેટરો તથા નગરજનોને તો ગાંઠે જ નહીં! આ અધિકારી એમ કહેવાય છે કે, પોતાના સૌથી મોટા રાજકીય પીઠબળના જોરે કૂદકાં મારે છે. પરંતુ અત્યાર સુધીમાં ચાર-ચાર વખત નોટિસ મેળવી ચૂકેલા શીંગાળાને હવે કોઈ છત્ર પણ બચાવી શકશે નહીં એવું દેખાઈ રહ્યું છે કેમ કે કમિશનર આ અધિકારીને માફ કરવાના મૂડમાં ન હોવાનું દીપક શિંગાળા વિરુદ્ધ તેવોએ શરુ કરેલ કાર્યવાહી પરથી સમજાય છે, આગામી સમયમાં શીંગાળા ફરીથી સસ્પેન્ડ પણ થઈ શકે છે, એવી પણ એક સંભાવના હોવાનું સૂત્રો જણાવે છે. આ વખતે કમિશનર આ વિવાદી અધિકારીને બરાબરનો પાઠ ભણાવશે એમ જણાઈ રહ્યું છે. ઘણાં બધાં અધિકારીઓ, કોર્પોરેટરો સહીતનાઓ પણ આ અધિકારીના વર્તનથી નારાજ હોવાનું કહેવાય છે. આજે સાંજ સુધીમાં આ મુદ્દે નવાજૂનીની શકયતાઓ છે.
કચરાના કથિત કૌભાંડના બિલોનું શું થશે ??!
અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન હસ્તક કચરામાંથી ખાતર બનાવવાનો જે પ્રોજેક્ટ ચાલે છે તેમાં પણ આ વિવાદી અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે, કરોડોનાં બિલો લાંબા સમયથી અટવાયેલા પડયા છે, કમિશનર આ બિલોને મંજૂર કરતાં પહેલાં બધું જ તપાસવા ઇચ્છે છે એમ માનવામાં આવે છે. અને આ બિલો સાથે અન્ય કેટલાંક લોકો પણ સંકળાયેલા હોવાની ચર્ચાઓ છે. તપાસસમિતિનો રિપોર્ટ આવવાનો પણ હજુ બાકી.