Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે કોઈ પણ શહેરમાં સામાન્ય નાગરિક પોતાના શહેરનાં ઉચ્ચ અધિકારીઓની મુલાકાત ભાગ્યે જ લેતાં હોય છે. લોકો પોતાના કામો અન્ય રીતે નિપટાવવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ આ પદ્ધતિમાં ઘણી વખત તકલીફ એ થતી હોય છે કે, ઉચ્ચ અધિકારીઓ સિવાયની વ્યક્તિ સંબંધિત પ્રશ્નનો ઉકેલ શોધી શકવામાં નિષ્ફળ રહે છે જેને કારણે નગરજનને હતાશા મળતી હોય છે.
આ પ્રકારની સ્થિતિ ટાળવા તથા સમગ્ર કોર્પોરેશનનો વહીવટ સ્પષ્ટ અને પારદર્શક રીતે લોકાભિમુખ બની શકે તથા શહેરની આંતરમાળખાકીય વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે હેતુથી જામનગર કમિશનર દ્વારા એક યાદી નગરજનો જોગ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રૂબરૂ મુલાકાત માટેનાં દિવસો અને સમય જાહેર કરવામાં આવ્યા છે.
કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, દર સપ્તાહે સોમવારે તથા મંગળવારે સવારે 11થી બપોરનાં 1 વાગ્યા સુધીમાં કોઈ પણ નગરજન પોતાનાં કામસર કમિશનરને રૂબરૂ મળીને પોતાની વાત અથવા સમસ્યા રજૂ કરી શકશે. ઉપરોક્ત સમય અને વારે જો કોઈ સરકારી કામકાજ સબબ અથવા મહત્વની મિટીંગને કારણે કમિશનરને તેમાં જવું પડશે તો, ઉપરોક્ત શેડયૂઅલમાં ફેરફાર થઈ શકશે, એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાની કોઈ પણ શાખાની કોઈ પણ કામગીરી કે કાર્યવાહી સંબંધે આપ કશું કહેવા ઈચ્છતા હશો તો, કમિશનરને તે સંપૂર્ણ વિગતો પણ કોઈ પણ નગરજન કહી શકે છે.