Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ અગાઉના વર્ષોના બાકીવેરાઓની ચૂકવણીમાં જે વ્યાજ માફી રાહત યોજના અમલમાં મૂકી છે, તે હાલ પણ ચાલુ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ એડવાન્સ વેરાઓ ચૂકવણીમાં જે રિબેટ યોજના જાહેર કરેલી તેમાં ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનને સારી એવી આવક થઈ છે. અને કરદાતા નગરજનોએ સારો એવો ડિસ્કાઉન્ટ લાભ પણ લીધો છે.
કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા વર્તમાન નાણાંકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ વાર્ષિક મિલકત વેરા અને પાણી ચાર્જ ભરપાઈ કરનાર કરદાતાઓ માટે 10 થી 25 ટકા સુધીની વેરા રિબેટ યોજના જાહેર કરવામાં આવેલી, તેમાં 10 જૂલાઈથી 23 ઓગસ્ટ દરમિયાન કુલ 61,440 કરદાતાઓએ એડવાન્સ વેરાઓ વળતર યોજનાનો લાભ લીધો છે.
કોર્પોરેશનને મિલકત વેરા પેટે રૂ. 24.94 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂ. 3.65 કરોડ પ્રાપ્ત થયા છે. રૂ. 2.63 કરોડનું રિબેટ આપવામાં આવ્યું છે. આ યોજના અન્વયે મિલકત વેરામાં 41,176 લાભાર્થીઓએ રૂ. 2.23 કરોડ અને વોટર ચાર્જમાં 20,264 લાભાર્થીઓએ રૂ. 40.60 લાખનું રિબેટ મેળવેલ છે.
આ ઉપરાંત પુનઃરિબેટ યોજના અંતર્ગત ઓક્ટોબર માસ દરમિયાન કુલ 9,073 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકત વેરા પેટે રૂ. 6.68 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂ. 70.83 લાખ કોર્પોરેશનને પ્રાપ્ત થયેલ છે. રૂ. 45.01 લાખનું રિબેટ આપવામાં આવ્યું છે. આ રિબેટ યોજના અન્વયે મિલકતવેરામાં 6,850 લાભાર્થીઓએ રૂ. 41.03 લાખ અને વોટર ચાર્જમાં 2,223 લાભાર્થીઓએ રૂ. 3.98 લાખ રિબેટ મેળવેલ છે.
આમ બંને યોજનાઓ અંતર્ગત કુલ 70,513 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકત વેરા પેટે રૂ. 31.62 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂ. 4.36 કરોડ કોર્પોરેશનને પ્રાપ્ત થયેલ છે અને આસામીઓને રૂ. 3.08 કરોડનું રિબેટ આપવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકામાં ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન 01-04-2023થી 31-10-2023 સુધીમાં 94,598 મિલકતધારકો દ્વારા રૂ. 54.38 કરોડ ભરપાઈ કરવામાં આવેલ છે. જેમાં રૂ. 10.18 કરોડ(રિબેટ અને વ્યાજમાફી)નું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે.
કોર્પોરેશનના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માં 31-03-2006 સુધીની રેન્ટબેઈઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોટર ચાર્જની રકમ પર 100 ટકા વ્યાજ માફી અને 01-04-2006થી કાર્પેટ બેઈઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટર ચાર્જની રકમ પર 50 ટકા વ્યાજ માફીની રાહત યોજના હાલ પણ ચાલુ છે. નગરજનો આ યોજનાનો સમયસર લાભ લઈ બાકી રકમ પર વ્યાજના ભારણથી બચી શકે છે.