Mysamachar.in-જામનગર:
સ્પીડબ્રેકર્સ જિંદગીમાં અને રસ્તાઓ પર આવશ્યક છે, એ ખરૂં પરંતુ સ્પીડબ્રેકર્સને પણ નિયમો લાગુ પડે છે. જે સ્પીડબ્રેકર્સ નિયમો વિરુદ્ધ હોય, તેવાં સ્પીડબ્રેકર્સ કોર્પોરેશને સંબંધિત આસામીનાં ખર્ચે તોડી પાડવા જોઈએ. શહેરમાં મુખ્ય રસ્તાઓ પર અને હોસ્પિટલ તથા શાળાઓ સહિતનાં સ્થળોએ કોર્પોરેશન સ્પીડબ્રેકર્સ બનાવે અને એ રીતે સંભવિત અકસ્માતો ટાળવાનો પ્રયાસ કરે, એ આખો અલગ મુદ્દો છે. અલગ અને નિયમ મુજબની વ્યવસ્થા છે. પરંતુ મને કે તમને વિચાર આવે અને આપણે આપણાં નિવાસસ્થાન નજીક રાતોરાત સ્પીડબ્રેકર્સ બનાવી નાંખીએ, એ વાજબી નથી. શેરીમાં ગલીમાં કે જાહેર માર્ગ પર મન થાય ત્યારે સ્પીડ બ્રેકરો ખડકી દેનાર સામે ખરેખર તો પગલા લેવા જોઈએ તેવી લોકમાંગણી પણ છે.
કોર્પોરેશન પોતે કોઈ પણ સ્થળે સ્પીડબ્રેકર્સ બનાવતાં પહેલાં શહેર ટ્રાફિક પોલીસનો અભિપ્રાય મેળવે છે. પછી સ્પીડ બ્રેકર બનાવે છે. ટ્રાફિક શાખા ચોક્કસ જગ્યાએ સ્પીડબ્રેકર આવશ્યક છે કે કેમ.? તેનો અભ્યાસ કરે, સંબંધિત સ્થાન પર વાહન વ્યવહારની સ્થિતિ શું છે ? રોડનો પ્રકાર શું છે ? વગેરે મુદ્દાઓની છણાવટ પછી સ્પીડ બ્રેકર બનાવવા અંગે અભિપ્રાય આપે છે.
બીજી બાજુ જામનગર શહેરમાં આ મુદ્દે અરાજકતા અને અવ્યવસ્થા પ્રવર્તે છે ! ઘણાં વગદાર લોકો અને સામાન્ય નગરજનો પણ પોતાને ઠીક લાગે તે સ્થળે, મનગમતી ઉંચાઈ ધરાવતું, યોગ્ય પહોળાઈ ન ધરાવતું હોય એવું – ટૂંકમાં, સેંકડો વાહનચાલકોને હાલાકી વેઠવી પડે એવી રીતે, મનસ્વી રીતે, પોતાની અનુકૂળતા મુજબ ગમે તે રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવી નાંખવાની ઘણાં બધાં નગરજનોની માનસિકતા યોગ્ય બાબત ના હોવા સાથે અકસ્માતો નોતરનારી બની રહી રહી છે.
મહાનગરપાલિકાએ આવા ગેરકાયદે સ્પીડ બ્રેકર તોડી પાડવા જોઈએ અને એ માટે સંબંધિત લોકો પાસેથી, તોડપાડનો વહીવટી ચાર્જ પણ વસૂલવો જોઈએ. અત્રે નોંધનીય છે કે, આ પ્રકારના ગેરકાયદે સ્પીડ બ્રેકર રાતોરાત બની જતાં અને ત્યાંથી પ્રથમ વખત પસાર થતાં વાહનચાલકને આ નવાં સ્પીડ બ્રેકર અંગે કશી જાણકારી ન હોતાં, આવાં ગેરકાયદે સ્પીડ બ્રેકર અકસ્માત પણ સર્જી શકે છે !