Mysamachar.in-રાજકોટઃ
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરીએ સ્વચ્છતાના સરવેના આંકડા જાહેર કર્યા હતા, આ આંકડામાં જામનગરનો પડોશી જિલ્લો રાજકોટ લિસ્ટમાં બીજા નંબર પર રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્યપ્રદેશનું ઈન્દોર સતત ચોથીવાર સ્વચ્છ શહેર બન્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા 10 લાખથી વધુ વસતિ ધરાવતા ટોપ 20 સ્વચ્છ શહેરોમાં રાજકોટ બીજા નંબર પર રહ્યું છે. એપ્રિલથી જૂનના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાતના રાજકોટનો બીજો, વડોદરાનો ચોથો, અમદાવાદનો છઠ્ઠો અને સુરતનો 20મોં નંબર આવ્યો છે. જ્યારે પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં સુરત ત્રીજા, રાજકોટ ચોથા અને અમદાવાદ 7માં નંબર પર રહ્યું હતું. આ સિવાય 10 લાખથી ઓછી વસતિ ધરવતા શહેરોમાં ગુજરાતમાંથી એક માત્ર ગાંધીનગર ટોપ 20 શહેરોમાં સમાવેશ થયો છે. પહેલા ક્વાર્ટરમાં ગાંધીનગર 14માં નંબરે તો બીજા ક્વાર્ટરમાં 12માં નંબરે રહ્યું છે.