Mysamachar.in-જામનગર:
નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ હાલ ગુજરાત રાજ્યમાં પણ ફેલાયેલ છે. સરકાર દ્વારા તેને નિયંત્રણમાં લેવા અનેક પગલાં લેવામાં આવેલ છે. જામનગર જિલ્લા કક્ષાએ ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ હાલ અમલમાં હોય નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લેવાના થતાં નિવારક પગલાં બાબતે પૂરતી તકેદારી રાખી તમામ કાર્યવાહીઓ તાકીદના ધોરણે કરવામાં આવી રહી છે.
હાલમાં જામનગર જિલ્લામાં કોરોનાનો કોઈપણ એક્ટિવ કેસ જોવા મળેલ નથી પરંતુ રાજકોટ કે મોરબી જિલ્લામાંથી આવતી કોઈ વ્યક્તિના કારણે ચેપ ન ફેલાય તો આવી વ્યક્તિની પુરતી ચકાસણી અને તેઓના સંપર્ક કરી શકાય તે માટે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે, જ્યાં આરોગ્ય ચકાસણી ટીમ તેમજ પોલીસની ટીમ કાર્યરત છે. આવા વ્યક્તિઓના કોન્ટેક્ટ તેમજ તેઓની ઓળખ માટે અને લોકોની સંપર્ક યાદી તેમજ અવર-જવરની વિગતો સરળતાથી મેળવી શકાયતે માટે જિલ્લામાં બનાવેલ હંગામી ચેકપોસ્ટ ખાતે ૨૪*૭ સીસીટીવી લગાડવામાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દુધઈ ચેકપોસ્ટ, ધ્રોલ તાલુકાના દેડકદળ અને લતીપુર ચેકપોસ્ટ, કાલાવડ તાલુકાના આણંદપર અને ખરેડી ચેકપોસ્ટ તેમજ જામજોધપુર તાલુકાના સીદસર પર હંગામી ચેકપોસ્ટ બનાવવામાં આવેલ છે જ્યાં સીસીટીવી લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દુધઈ, દેડકદળ અને લતીપુર ખાતે આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કાલાવડના આણંદપર, ખરેડી, અને જામજોધપુરના સિદસર ખાતે આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં કોરોનાના કોઇ નવા કેસ ઉત્પન્ન ન થાય તે માટે દરેક ચેકપોસ્ટ ખાતે તમામ તકેદારી લેવામાં આવી રહી છે.