Mysamachar.in:જામનગર
વીજળી ઉત્પન્ન કરવા માટે જામનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા પવનચક્કીઓ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે, આ પવનચક્કીઓ ઉભી કરતી કંપનીઓ પોતાની મનમાની અને જોહુકમી કેટલાય કિસ્સાઓમાં ચલાવે છે, અને નિયમોને નેવે મૂકી કામગીરી કરે છે. જેનાથી જે તે વિસ્તારમાં આવા કામો ચાલી રહ્યા હોય તેની આસપાસના સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતો પરેશાન છે વળતર અને દાદાગીરીના મામલાઓ સતત વધી રહ્યા છે, કારણ કે બાહુબલી જેવા લોકો આ કંપનીઓ સાથે જોડાયેલા છે, માટે કંપનીના અધિકારીઓ ખેડૂતો પર શુરા બની રહ્યા છે.
પવનચક્કી વાળાઓની મનમાની, દાદાગીરી, વળતર, સહિતના કેટલાક મામલાઓ કૃષિમંત્રી રાઘવજી પટેલ સુધી પહોચતા મંત્રીએ આ મામલાને ખુબ ગંભીરતાથી લીધો છે અને ગતરોજ જામનગર કલેકટર કચેરી ખાતે પવનચક્કી કંપનીઓના પ્રતિનિધિઓની હાજરીમા યોજાયેલ બેઠકમાં કલેકટર અને એસપીને આ મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ ભાર ભલામણ વિના કડક હાથે ફરિયાદ મળ્યે ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા કડક સુચના આપી દીધી છે.
ઉપરાંત કેટલાય કિસ્સાઓમાં ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી તો કેટલાક ખેતરોમાં પોલીસ રક્ષણ સાથે તો કેટલાક સ્થળોએ “ભાઈલોગો”ની મદદથી ટાવર ક્રેન પવનચક્કી ઊભી કરવા માટે પૂર્વ મંજૂરી વગર લઇ જવામાં આવે છે. જેને કારણે ગામડાના ખેડૂતોના રસ્તાઓ બગાડી નાખે છે. તો એક પવનચક્કીથી બીજી પવનચક્કી લાઈન લઈ જવા માટે ગૌચરનો ઉપયોગ બિન્દાસ્ત કરવામાં આવે છે. જે કંપનીઓ મફતમાં ગૌચરનો ઉપયોગ કરી રહી હોવાનું પણ સામે આવે છે.
વધુમાં ખેડૂતોને ખબર ના હોય અને રાતોરાત કેટલાક કિસ્સાઓમાં થાંભલાઓ ઉભા થઇ જાય અને ખેડૂતોના ઉભા પાકને અને જમીનને મોટી મશીનરીને કારણે નુકશાન થતું હોય તેવા કોઈપણ કિસ્સાઓમાં ફરિયાદ મળ્યે ના ચલાવી લેવા અને કડક હાથે પગલા લેવા રાઘવજી પટેલે ખેડૂતોના હિતમાં ઉચ્ચ અધિકારીઓને પવનચક્કીઓના પ્રતિનિધિઓની હાજરીમાં જ સુચના આપી દેવામાં આવી છે.
-ફાઉન્ડેશન ભરવા માટે રેતી માટી મોરમ સહિતની ચોરી..?
વધુમાં આધારભૂત સુત્રો માહિતી આપતા કહે છે કે પવનચક્કી ઉભી કરતી કંપનીઓ મોરમ અને માટીની મોટા પાયેચોરી કરે છે, જેમાં કેટલાક સ્થાનિક આકાઓના પેટના વજન વધી જતા તેવો પણ કંપનીઓને સહકાર આપવાની ભૂમિકા અદા કરે છે, મોટાભાગની કંપનીઓ પાસે આવી માટી અને મોરમની રોયલ્ટી હોતી નથી, જેથી સરકારી તિજોરીને સીધું જ નુકશાન થાય છે. જે બાબતે પણ લગત તંત્રએ તપાસ કરવી જોઈએ.
-ગામને આપવાની થતી ફાળાની રકમ અંગે પણ અસમંજસ
વધુમાં જ્યારે ઔધોગિક હેતુ માટે જમીન આપવામાં આવેલ હોય ત્યારે ગામના વિકાસ માટે સીએસાર એક્ટીવીટી કરવી પડે જેમાં અમુક કંપનીઓ કાઈ જ નથી કરતી તો અમુક ક્ટકું બટકું નાખી દે છે, આ મામલે પણ રાઘવજી પટેલે ગતરોજ મીટીંગમાં કહ્યું કે સીએસઆર એક્ટીવીટી સમાન ધોરણે અને નિયમ મુજબ કરવી જોઈએ. તાજેતરમાં જ પવનચક્કીઓ ઉભી કરવાને લઈને કેટલાક વિવાદના કિસ્સાઓ મોટી ભલસાણ અને હડમતીયામાં સામે આવ્યા છે, વધુમાં કંપનીઓમાં ચાલતા વાહનો ગુજરાત બહાર પાસિંગની હોય છે જે આરટીઓએ પણ તપાસ કરવી ઘટે તેમ જાણકારો કહે છે.