Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને જાનથી મારી નાંખવાની ધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ અધિકારી પાસે ખંડણીની માંગ પણ કરવામાં આવી છે. અને, આ અધિકારીને એટ્રોસિટીના ખોટાં કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી છે. આ ફરિયાદનો આરોપી એક નગરસેવિકાનો પતિ અને પૂર્વ નગરસેવક છે. આ ફરિયાદી અધિકારી બ્રાહ્મણ છે, આ મામલે જામનગરના બ્રહ્મસમાજમાં ભારે રોષ છે અને આથી સમગ્ર બ્રહ્મસમાજે આ મુદ્દે સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપ્યું છે અને યોગ્ય કાર્યવાહીઓની માંગ કરી છે.
આજે શનિવારે સવારે જામનગર શહેર જિલ્લા બ્રહ્મસમાજ તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા આ મામલે પ્રથમ મ્યુનિસિપલ કમિશનરને અને બાદમાં એસપીને આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ અને ઘટકોના હોદ્દેદારો તથા અગ્રણીઓ અને સભ્યો હાજર રહ્યા હતાં.
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મસમાજ વતી સ્થાનિક સત્તાવાળાઓને આજે આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દીપુ પારીયાએ જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેર ભાવેશ નટવરલાલ જાનીને આપેલી ધમકી મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજમાં ભારે રોષ છે. ધાકધમકી આપનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરી, કાયદાનું ભાન કરાવવા રજૂઆત છે.આ આવેદનમાં જણાવાયું છે કે, ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરવામાં નહીં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
આ આવેદનપત્ર આપતી વેળાએ જામનગર જિલ્લા તથા સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષભાઈ જોષી, સુભાષભાઈ જોશી, સુનિલ જોષી, મહેશ રાવલ, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, મનિષાબેન સુંબડ તથા અન્ય અગ્રણી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ આવેદન આપતી વેળાએ બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ બ્રહ્મ સોશિયલ ગ્રૂપ, બ્રહ્મ વિકાસ પરિષદ, ભૂદેવ સેવા સમાજ, બ્રહ્મ એકતા ફાઉન્ડેશન, રણજિતનગર સમસ્ત બ્રહ્મસમાજ, બ્રહ્મદેવ સમાજ, બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા, કર્મકાંડી ભૂદેવ સમિતિ, સાધના કોલોની સમસ્ત બ્રહ્મસમાજ તથા પટેલકોલોની બ્રહ્મસમાજ સહિતની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો તથા સભ્યો હાજર રહ્યા હતાં.