Mysamachar.in:જામનગર
તાજેતરમાં રાજય સરકારની નીતિ અને માર્ગદર્શન અનુસાર, જામનગર શહેરમાં શિક્ષકોની મોટી ઘટ પૂરવા આલિયાની ટોપી માલિયા માથે, આલિયો રહ્યો ઉઘાડે માથે જેવો ઘાટ ઘડવામાં આવ્યો ! ગામડાંઓનાં શિક્ષકોને ભેટમાં શહેર આપવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ રામભરોસે બની ગયું ! લોકો કહે છે: સરકારે થાળી ભાંગીને વાટકો કરતાં આ કમનસીબ સ્થિતિ સર્જાઈ છે.
તાજેતરમાં સરકારે બદલીઓ માટે કેમ્પ યોજયા હતાં. આ કેમ્પનાં માધ્યમથી જામનગરનાં ગ્રામ્ય વિસ્તારોનાં શિક્ષકોને જામનગર શહેરમાં બદલીઓ આપી, શહેરમાં શિક્ષકોની મોટી ઘટ પૂરી દેવામાં આવી જેનું પરિણામ એ આવ્યું કે, જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ શિક્ષકો વિનાની થઈ ગઈ ! ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ રામભરોસે !
આંકડાઓ કહે છે: જામનગર જિલ્લામાં કુલ 665 શાળાઓ છે. જે પૈકી 66 શાળાઓ એવી છે જયાં માત્ર એક જ શિક્ષક છે ! આચાર્ય પણ પોતે અને શાળાની સફાઈની જવાબદારીઓ પણ એમની ! ઝાડુ લગાવે કે ભણાવે ?! અને આ એક માત્ર શિક્ષક રજા પર જાય ત્યારે શાળાઓને તાળું અને વિદ્યાર્થીઓને રજા ! જિલ્લાની 665 શાળાઓમાં સરકારી નિયમ અનુસાર ઓછામાં ઓછાં 3,696 શિક્ષકો હોવા જોઈએ. શાળાઓમાં શિક્ષકો છે 2,926 એટલે કે 770 શિક્ષકોની જગ્યાઓ ખાલી. આ શિક્ષકોની નિમણૂંક ન થવાથી હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણથી વંચિત રહેવું પડે. તાજેતરની બદલીઓને કારણે જિલ્લામાંથી 497 શિક્ષકો અન્ય જિલ્લાઓમાં જતાં રહ્યા. અને તેની સામે નવા શિક્ષકો માત્ર 86 આવ્યા. ટૂંકમાં શિક્ષકોની ઘટમાં વધારો થયો !
જામનગર જિલ્લામાં અગાઉ માત્ર એક જ શિક્ષકવાળી શાળાઓ 8 હતી તે વધીને 66 થઈ ગઈ છે. લાલપુર તાલુકાની 16 શાળાઓ 1-1 શિક્ષકથી ચાલે છે. જામજોધપુર અને કાલાવડ તાલુકાઓમાં આવી 14-14 શાળાઓ છે. જોડિયા તાલુકાની 9 અને ધ્રોલ તાલુકાની 8 શાળાઓમાં એક-એક શિક્ષક છે. જામનગર તાલુકામાં 5 શાળાઓમાં એક-એક શિક્ષક છે.