Mysamachar.in:જામનગર
એકધારા અને ભારે વરસાદને કારણે, જામનગર શહેર માટે કાલનો શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ પૂરવાર થયો. અમંગળ ઘટનાઓ બની, અને 4 જિંદગીઓ પાણીમાં ડૂબી, તરફડીને કાયમ માટે શાંત થઈ ગઈ. જેમાં 3 તો બાળકો હતાં ! અન્ય, તણાઈ ગયેલાં 2 યુવાનો પૈકી 1 યુવાનને બચાવવામાં સફળતા મળી હતી. જામનગર શહેર અને જિલ્લામાં કાલે શુક્રવારે ભારે વરસાદની સ્થિતિને કારણે સર્વત્ર પાણી પાણી હતું. અને, નદી – નાળાંઓ તથા કેનાલો અને ખાડ તથા ખાબોચિયાં બધું જ પાણીથી લબાલબ ભરેલું હતું. તે દરમિયાન પાણીમાં ડૂબી મોતને ભેટનાર લોકોની સંખ્યા 4 જાહેર થઈ જે પૈકી 3 બાળકનાં મોત થયા. અને એક પુખ્ત વયના પુરૂષનું પણ મરણ થયું છે.
જામનગરને પાણી પૂરું પાડતો રણજિતસાગર ડેમ શુક્રવારે એક જ અને પ્રથમ ભારે વરસાદમાં ઓવરફ્લો થઈ ગયો. પરંતુ પ્રથમ જ દિવસે, એક પિતા-પુત્રનો આ જળાશયમાં ભોગ લેવાયો ! 36 વર્ષનાં આસિફભાઈ બચુભાઈ સેતા અને તેમનાં 13 વર્ષનાં પુત્ર નવાઝનાં મૃતદેહો રણજિતસાગરમાંથી મળી આવ્યા ! શહેરનાં ગુલાબનગર નજીકનાં નવનાલા વિસ્તારમાં શુક્રવારે બે બાળકો પાણીમાં ડૂબ્યા હતાં. જે પૈકી યશ વિજયભાઈ પરમાર નામનાં 11 વર્ષનાં બાળકનો જીવ ગયો ! આ બાળકોને બચાવવા પડેલાં 2 યુવાનો પૈકી 1 યુવાન આજે શનિવારે સવારે પણ લાપત્તા છે ! જેને શોધી કાઢવા શુક્રવારે સાંજે ફાયરની ટૂકડીએ મહેનત કરી હતી.
આ ઉપરાંત શહેર નજીકના વિભાપરમાં પણ એક યુવાન પાણીમાં તણાઈ ગયો હતો. આ યુવાનને શોધી કાઢવા ફાયરની ટૂકડી જહેમત ઉઠાવી રહી હતી તે દરમિયાન ગ્રામ્ય મામલતદાર કચેરીએ શુક્રવારે સાંજે ફાયરને એમ જણાવ્યું હતું કે, અમોએ વિભાપરના એ યુવાનને શોધી કાઢ્યો છે. પાણીમાં ડૂબી જવાનો અન્ય એક બનાવ જામનગર નજીક ધૂંવાવમાં બન્યો હતો. અહીંની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં એક રહેણાંક મકાન નજીક પાણીનો એક મોટો ખાડો છે. આ ખાડામાં પુષ્કળ પાણી ભરાયેલું છે. આ પાણીમાં એક બાળકી રમતાં રમતાં પડી જતાં ડૂબીને મરણ પામી હોવાનું જાહેર થયું છે. 3 વર્ષની આ બાળકીનું નામ નેહા ગોદરીયા હોવાનું જાહેર થયું છે.