Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના નવાગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય એક પટેલ યુવાનને શનિવારે રાત્રિના સમયે ચાર શખ્સોએ આવી અને લાકડી જેવા બોથડ પદાર્થ વડે અતિ ઝનુનથી બેફામ માર મારી, નિર્મમ હત્યા નિપજાવ્યા બાદ નાસી છુટેલા આ આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે દબોચી લેવામાં સફળ થઇ છે.
ભાણવડ તાલુકાના નવાગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા નામના 39 વર્ષના પટેલ યુવાન શનિવારે રાત્રે વાળુ-પાણી કરીને પોતાના વાડીમાં આવેલા રહેણાક મકાનમાં સુતા હતા, ત્યારે રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના સમયે બુકાનીધારી ચાર શખ્સો લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ સૌપ્રથમ વાડીમાં રહેલા હરેશભાઈ જાવીયાના ભાગીયા રાધુભાઈ શંભુભાઈને લાકડી વડે દબાવી, મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધા બાદ અન્ય ત્રણ શખ્સો હરેશભાઈ ઉપર લાકડી વડે તૂટી પડયા હતા અને તેમની નિર્મમ હત્યા નીપજાવી નાસી છૂટયા હતા.
આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શનમાં ભાણવડ પોલીસ સહિતના સ્ટાફ દ્વારા આ ગંભીર ગુના સંદર્ભે વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કરી અને શંકાસ્પદ જણાતા કેટલાક શખ્સોની અટકાયત કરી આગવીઢબે પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા આ તપાસ અંતે હત્યા પ્રકરણમાં નવાગામ ટીંબાના રહીશ સગર ચના વેજાભાઈ પિપરોતર, તેમના અભ્યાસ કરતા પુત્ર દિવ્યેશ, ઢેબર ગામના રહીશ સંધી બાવા નુરમામદ હિંગોરા અને નવાગામના રહીશ અને ગેરેજનું તથા છૂટક ડ્રાઇવિંગ કામ કરતા મેર મિલન વિરમભાઈ ઓડેદરા નામના ચાર શખ્સોની અટકાયત કરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક હરેશભાઈ જાવીયાને અગાઉ ચનાભાઈ પિપરોતરના અન્ય એક પુત્ર સાથે બોલાચાલી તથા મારામારી થઈ હતી અને મૃતકે તેના હાથ પગ ફ્રેકચર કરી નાખ્યા હતા અને તે હાલ પથારીવશ છે, ત્યારે તેની દાઝ કાઢવા માટે અને તેનું મનદુઃખ રાખી, પિતા-પુત્ર તથા અન્ય બે શખ્સોએ મળી હરેશભાઈની હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે,