Mysamachar.in-જુનાગઢ
ફોટો જોઇને એવું લાગશે કે આટલા બધા મોબાઈલ એટલે કોઈ મોબાઈલની દુકાન હશે… પણ ના એવું નથી આ તમામ 500 થી વધુ મોબાઈલ જુનાગઢ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યા છે, હવે આટલા બધા મોબાઈલ કબજે કરવાનું કારણ જોઇને તમે ચોંકી જશો.વાત કઈક એવી છે કે લોકોના મોબાઇલ ફોન ચોરી થવાના કે કોઇપણ જગ્યાએ પડી ગયેલા કે ગુમ થવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય જેને લઈને જુનાગઢ SOG એલર્ટ મોડ પર હતી તે દરમિયાન મોટી સફળતા મળી છે,
જીલ્લા પોલીસવડા દ્વારા પણ ચોરી થયેલ કે ખોવાયેલ મોબાઇલો શોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવા સુચના આપેલ જે બાદ એસ.ઓ.જી. સ્ટાફને બાતમીરાહે હકીકત મળેલ કે, જૂનાગઢ એમ.જી.રોડ. ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં આવેલ “રાજ મોબાઇલ” નો સંચાલક કાજીમ મહમદભાઇ રાજસુમરા કોઇપણ આધાર પુરાવા વગરના તેમજ ગેરકાયદેસર રીતે મોબાઇલો મેળવી વેંચાણ કરે છે જેથી ઉપરોક્ત મોબાઇલની દુકાન પર રેઇડ કરતા કોઇ પણ આધાર પુરાવા વગરના અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ કુલ-504 તથા લેપટોપ-1 મળી કુલ કિ.રૂ. 27,96,000/- સાથે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જયારે પોલીસ દ્વારા દુકાનદારની સઘન પુછપરછ કરતા ઉપરોક્ત તમામ મોબાઇલો છેલ્લા એક વર્ષ દરમ્યાન ગોંડલ ખાતેના દેવીપુજક અજય, સની તથા ધુનાબેન પાસેથી ચોરીના મોબાઇલો સસ્તા ભાવમાં મેળવી મોબાઇલોના લેપટોપ વડે લોક ખોલી તેમના સ્પેરપાર્ટ અલગ અલગ કરી અન્ય રીપેરીંગમાં આવતા બંધ મોબાઇલોમાં ઉપયોગ કરે છે તથા અન્ય દુકાનદારોને છુટક છુટક સ્પેરપાર્ટોનું વેંચાણ કરતો હોવાની કબુલાત આપેલ છે.
આરોપી ગોંડલ ખાતેની દેવીપુજક પાસેથી ચોરીના મોબાઇલો મેળવતો હોય જેથી મળી આવેલ મોબાઇલો જૂનાગઢ, રાજકોટ તેમજ આજુબાજુના જીલ્લાઓમાંથી ચોરી થયેલાનું પોલીસ માની રહી છે, આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલો પૈકી 169 મોબાઇલોના આઇ.એમ.ઇ.આઇ. નંબર મળવામાં છે અને બાકીના 335 મોબાઇલો બંધ તેમજ લોકવાળા હોય જેમના આઇ.એમ.ઇ.આઇ. નંબર મેળવવા માટે તપાસ ચાલુ છે.