Mysamachar.in-જામનગર:
શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખ, આર્યસમાજ – જામનગરના પ્રમુખ અને ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રીના પિતા અને ચુસ્ત આર્યસમાજીસ્ટ અને આજીવન સામાજીક કાર્યકર તેમજ શિક્ષણપ્રેમી તેમજ કન્યા કેળવણીના હિમાયતી એવા જયંતીભાઈ ઠક્કરનુ ફાગણ સુદ પુનમ ના રોજ 36 વર્ષ પહેલા નિધન થતા સમગ્ર આર્યજગતને ન પુરાય તેવી ખોટ પડી. તા. 21/10/1923 નાં રોજ જન્મેલા જયંતીભાઈ માત્ર 10 વર્ષની કિશોર અવસ્થાથી આર્યસમાજની વ્યાયામ પ્રવૃતિથી આકર્ષાઈ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃતિમાં આજીવન જોડાઈ સમસ્ત ગુજરાતના આર્યસમાજીસ્ટોમાં અગ્રગણ્ય વ્યક્તિ તરીકે પ્રતિભા ઉપસાવી શક્યા હતા.
1947માં જામનગર આર્યસમાજ દ્વારા શહેરની કન્યાઓને કેળવણી આપવાના હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયનાં પ્રારંભ, વિકાસ અને વિસ્તૃતીકરણના 41 વર્ષ સુધી મશાલચી તરીકે તેઓએ અંતધડી સુધી ફરજ બજાવેલ. જામનગરના વિશ્વ વિખ્યાત આદર્શ સ્મશાનનાં પ્રણેતા આજીવન સમાજ સેવક સ્વર્ગસ્થ ગોકલદાસ હિરજી ઠક્કરના તેઓ જ્યેષ્ઠ પુત્ર હતા અને સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવાઓ આપી. જામનગરની નવાનગર હાઇસ્કુલમાં તેઓએ શિક્ષણ મેળવ્યું હતું અને શાળાજીવન દરમ્યાન ખાદી પહેરવાની મનાઈ હોવા છતા ચુસ્ત ગાંધીવાદી અને સ્વદેશીનાં હિમાયતી પિતાને અનુસરીને તેઓ પણ ખાદી પહેરતા હતા અને ખાદી પહેરવા માટે તેમને શાળામાં શિક્ષા પણ સહન કરવી પડી હતી.
ખાદી પહેરવાને કારણે તેમણે દેશી રાજ્યોનો ખોફ પણ વહોરવો પડ્યો હતો અને 1942 ની આઝાદની લડત વખતે તેમને લાઠી માર પણ સહન કર્યો હતો.1933 માં યુવાનોને સશક્ત બનાવવા માટે જામનગરમાં સ્થપાયેલી શ્રી વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળમાં તેઓ પોતાના નબળા શરીરને સુદ્રઢ બનાવવા માટે જોડાયા અને ખદ કરીને તેઓ હિન્દી કુસ્તીમાં વિશેષ રસ લેતા અને કુસ્તી વીર તરીકે રૌપ્ય ચંદ્રક પણ પ્રાપ્ત કર્યો હતો. જીવનના અંત સુધી તેઓ આર્યસમાજ અને વિશ્વનાથ વ્યાયમ પ્રચારક મંડળ સાથે જોડાયેલા રહ્યા.
સતત ૫૫ વર્ષ સુધી આર્યસમાજનાં કાર્યમાં રહીને તેમણે શ્રીબૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા, આર્યકુમાર મહાસભા વડોદરા અને વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળ શ્રી ચન્દ્ર દિગ્વીજય વેદ જ્ઞાન પ્રચાર ટ્રસ્ટ, ખરેડી સાથે તેઓ ટ્રસ્ટી તેમજ જામનગર શાળા સંચાલક મંડળના વિવિધ પદો પર રહીને અવિરત સેવાઓ આપી હતી. તેઓએ વિશ્વના આર્યસમાજોનુ સંગઠન ધરાવતી સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના કારોબારી સભ્ય તરીકે પણ સેવાઓ આપેલ હતી. 1947ના વર્ષમાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાનું કેન્દ્ર જામનગરમાં સ્થાપી રાષ્ટ્રભાષા પ્રચારકાર્યને આગળ વધારવા સક્રિય રહેલ. તેમજ જામનગર જિલ્લા અને રાજ્ય રમતગમત પ્રવૃત્તિમાં પણ તેઓનું યોગદાન ઘણું જ રહ્યું હતું.
મફ્ત શિક્ષણને અવરોધવા માટે રાજકીય પાસાઓ ફેકતા રાજકારણીઓ તરફથી ખાનગી ક્ષેત્રમા ચલાવતી શિક્ષણ સંસ્થાઓનાં વહીવટકર્તાઓની મુશ્કેલીઓ નિવારવા માટે તેમણે જામનગર જિલ્લા માધ્યમિક શાળા સંચાલન મંડળની સ્થાપના કરી મંત્રી પદે રહી શિક્ષણના મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન બની રહ્યા હતા.જયંતીભાઈ ઠક્કરના નિધનથી કેટલીયે સામાજીક સંસ્થાઓને તેમજ આર્ય અને હિન્દુ સમાજે શ્રેષ્ઠ ગુમાવેલ હતો.