Mysamachar.in-જામનગર:
ધારો કે વરસાદ પૂરતાં પ્રમાણમાં ન વરસે અને જામનગર જિલ્લામાં ડેમો ખાલી રહી જાય તો.? ખેડૂતો સહિતના લોકોમાં નબળાં વર્ષની ચિંતાઓ પ્રવેશી જાય. બીજી બાજુ, રાજ્યમાં ખેડૂત આંદોલનો પણ ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સરકાર ડેમોમાં પાઈપલાઈન મારફતે પાણી ઠાલવી ડેમોને ઓવરફ્લો કરી રહી છે અને ખેડૂતો સહિત સૌને ખુશીની ભેટ આપી રહી છે ! ‘સૌની ‘ યોજના અમલમાં આવી ત્યારે હેતુ એ હતો કે, સૌરાષ્ટ્રમાં કોઈ ડેમ ચોમાસા પછી પણ જો ખાલી રહી જાય કે અધૂરો રહી જાય તો સિંચાઇ તથા પીવાના પાણીની લોકોને ચિંતા ન રહે તે માટે પાઈપલાઈન મારફતે ડેમોમાં સૌની યોજના જળ ઠાલવવા…
પરંતુ આ વર્ષે સરકારે અલગ સ્ટેન્ડ લીધું છે. મેઘરાજાને મદદ કરવાનાં આશયથી, ભરચોમાસે સરકાર ડેમોમાં પાણી ઠાલવી, ખેડૂતો અને લોકોને ડેમ ઓવરફ્લોની ખુશીની ગિફ્ટ આપી સૌને ખુશ રાખવા મહેનત કરી રહી છે ! સૌની યોજનાની જામનગર કચેરીનાં જણાવ્યા પ્રમાણે, રણજિતસાગર અને સાની સહિતના ડેમોમાં અત્યાર સુધીમાં વિશાળ જળરાશિ પાઈપલાઈન મારફતે તંત્રએ ઠાલવી છે. જો કે, આ વરસે જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ સારો પડ્યો છે, સંખ્યાબંધ જળાશયો ઓવરફલો થયાં છે ( કેટલાંક ડેમો તંત્ર ની કૃપાથી!) ઘણું પાણી દરિયામાં વહી જઈ રહ્યું છે !