Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં લાખો ગરીબ પરિવારોનાં તહેવારો બગડશે ! તહેવારોમાં તેઓનાં ઘરે ચૂલા નહીં પેટે ! જામનગર અને સૌરાષ્ટ્ર સહિત રાજયમાં સસ્તા અનાજની અંદાજે 17,000 દુકાનોનાં સંચાલકોએ બેમુદતી હડતાળ જાહેર કરી દીધી ! રૂપિયા 20 હજારનું લઘુતમ વેતન અને માલમાં યોગ્ય ઘટ મંજૂર કરવા સહિતની સસ્તા અનાજના દુકાનદારોની જૂની માંગણીઓ છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ જ આયોજન ન કરવામાં આવતાં હજારો દુકાનદારોએ આજે પહેલી સપ્ટેમ્બરથી દુકાનો બંધ કરી દીધી છે. સરકારી ગોદામોમાંથી માલ ઉપાડવાનું તો ઓગસ્ટના અંતથી જ બંધ કરી દીધું હતું.
દુકાનદારોએ એક સપ્તાહ પહેલાં સરકારને જાણ કરી દીધી હતી કે, સપ્ટેમ્બરથી હડતાળ રહેશે. આમ છતાં વીતેલા સપ્તાહ દરમિયાન સરકાર તથા FPS એસોસિએશન વચ્ચે આ મુદ્દે કોઈ વચલો માર્ગ શોધવામાં ન આવતાં તહેવારો ટાણે આ હડતાળની સ્થિતિ સર્જાઈ છે જેને કારણે હજારો ગરીબ પરિવારોનાં તહેવારો બગડશે. Mysamachar.in સાથેની વાતચીતમાં જામનગરના એસોસિએશનના પ્રમુખ હિતેષ મોદીએ જણાવ્યું છે કે, સમગ્ર રાજયનાં એસોસિએશન સાથે અમે જોડાયેલા છીએ અને તેથી આજથી આ હડતાળમાં પણ જોડાયા છીએ. જામનગર શહેરની સસ્તા અનાજની તમામ 90 દુકાનો બંધ છે. Mysamachar.in સાથેની વાતચીત દરમિયાન જિલ્લા પૂરવઠા અધિકારી નિલાક્ષ મકવાણાએ આ હડતાળ અને પ્રશ્ન સંબંધે જણાવ્યું છે કે, આ મુદ્દે મને કશી ખબર નથી. સતાવાર રીતે અમારી કચેરી સમક્ષ આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. હું મિટિંગમાં છું.