Mysamachar.in-જામનગર:
જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ ઉર્ફે જાડા લગભગ કયારેય વિવાદોથી પર રહ્યું નથી ! એમાંય છેલ્લાં દોઢેક વર્ષથી તો જાડા એટલું ગાજ્યું કે, છેક ગાંધીનગરમાં એનાં પડઘા પડ્યા ! ગાંધીનગરનાં સત્તાધીશોએ જાડાનો વહીવટ હવે સંપૂર્ણ રીતે પોતાનાં હસ્તક લઈ લીધો છે. કોર્પોરેશનનાં કમિશનરનો ચાર્જ કલેકટરને સોંપી સરકારે સૌને ચોખા પહોંચાડી દીધાં કે, જાડાનો નાનામાં નાનો નિર્ણય પણ હવે ગાંધીનગરથી જ થશે !
અત્રે નોંધનીય છે કે, જાડાનો વહીવટ રૂપિયાની દ્રષ્ટિએ પણ અતિશય જાડો હોવાનું જાણકારો કહે છે. આ ઉપરાંત જાડા સાથે નજીકથી સંકળાયેલા સૂત્રો ત્યાં સુધી કહે છે કે, જાડાનો વહીવટ ગંધાઈ પણ રહ્યો છે અને અતિશય ગોબરો પણ છે ! જાડાના કબાટમાં એટલાં બધાં મડદાં છે કે હવે તો કબાટના દરવાજા પણ બંધ રહી શકતાં નથી ! મડદાના હાથપગ કબાટ બહાર લટકાયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે !
જાડા કચેરીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરનાં પદ પર એક એવા અધિકારી લાંબા સમયથી પલાંઠી વાળીને બેસી ગયા હતાં જેને કોઈ હટાવી શકતું ન હતું અને તેની દરેક કામોમાં આણ એટલી હતી કે ઘણાં લોકોને આ અધિકારી ગમતાં પણ ન હતાં. આ અધિકારીની નોકરી આમ તો રાજકોટ કચેરીમાં હતી પરંતુ જામનગર ટીપીઓનો તેઓને વધારાનો ચાર્જ આપવામાં આવેલો. અને આ વધારાનો ચાર્જ અદા કરવા આ અધિકારી રાતદિવસ ઓવરટાઈમ પણ કરતાં હતાં. ગત્ સપ્તાહે સરકારે આ અધિકારીને કહી દીધું કે, હવે તમે માત્ર રાજકોટ સંભાળો, જામનગરમાં તમારી સેવાની હવે જરૂર નથી.
આ અધિકારીની જવાબદારી ઓછી કરવાની સાથે-સાથે સરકારે જામનગરનાં કમિશ્નરની સિંગલ ઓર્ડરથી બદલી કરી, તેમનાં સ્થાને અન્ય કમિશ્નરને મૂકવાને બદલે કમિશનરનો ચાર્જ કલેકટરને સોંપી દીધો. એટલે જાડા નું ચેરમેનપદ પણ હવે કલેકટરને મળ્યું. ટૂંકમાં, જાડા સંબંધિત તમામ નીતિવિષયક નિર્ણયો હવે ગાંધીનગરથી લેવાશે ! જાડા કચેરી જાણે કે, ગાંધીનગર જતી રહી !
અત્રે ઉલ્લેખનીય છે કે, જાડા કચેરી સંબંધિત ઝોનફેર પ્રકરણ, લગડી અને મોટી જમીનોની વિવાદાસ્પદ હરરાજીઓ સહિતનાં કેટલાંક પ્રકરણો પાછલાં મહિનાઓમાં એવાં રહ્યા કે જેમાં રજૂઆતો કરવામાં આવી, ગાંધીનગર સુધી ધણધણાટી ચાલી. જાતજાતના સમાચારો જામનગરમાં ઘૂમરાયા. એકેય પ્રકરણ સંબંધે ક્યારેય, કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન ન આવ્યું ! અને, જાડા કચેરીએ પાછલાં દોઢેક વર્ષ દરમિયાન મૂંગા મોઢે ઘણું કામ શાંતિથી પતાવી લીધું ! આ બધી જ બાબતો, શાસકપક્ષના જ એક જૂથે વ્યવસ્થિત રીતે ગાંધીનગર સુધી પહોંચાડી – એવી પણ એક ચર્ચા છે !
-‘જાડા’ માં લાંબા સમયથી કોઈ નેતાને ચેરમેનપદ આપવામાં આવ્યું નથી !
સામાન્ય રીતે વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનનું પદ રાજકીય હોય છે. પરંતુ જામનગરમાં ઘણાં સમયથી આ પદ કોઈ પણ નેતાને આપવામાં આવ્યું નથી. સ્વાભાવિક રીતે જ, આ પદ પર સૌની નજર હોય છે. જે પૈકી કોઈ શક્તિશાળી નેતા કોઈ પણ કિંમતે આ પદ હાંસલ કરવા તલપાપડ હોય, જેણે જાડાની બધી જ ઝીણી વિગતોનો હથિયાર તરીકે ઉપયોગ કરી, પ્રતિસ્પર્ધી જૂથ, અધિકારીવર્ગ તથા સરકારની પણ બધી જ બાજીઓને ચોપટ કરવા, ખાસ મોડ્સ ઓપરેન્ડી વડે લીક કરી બધું જ વેરણછેરણ કરી નાંખ્યું હોય, એવી પણ ચર્ચા એક ચર્ચા છે ! એવું પણ શકય છે કે, આ પ્રકારના કોઈ નેતાએ ચેરમેનપદ માટે ગાંધીનગર ખાતે માંગણીઓ તથા લોબિંગ પણ કર્યું હોય પરંતુ સ્થાનિક સ્તરે આંતરિક લડાઈ ન સર્જાય તે માટે સરકારે બધી જ કામગીરીઓ અને કાર્યવાહીઓ અધિકારી વર્ગ હસ્તક જ રાખી હોય, એવી પણ એક ચર્ચા છે.
હવે રાજય સરકારે જાડાની તમામ સતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (મહિલા અધિકારી) હસ્તક મૂકી દીધી છે. જેને પરિણામે હવે શહેરમાં ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે, આગામી દિવસોમાં જાડા હસ્તકનાં જે જે ‘જાડા’ પ્રકરણો અને રજૂઆતો પેન્ડિગ છે, તેનું શું થશે ?! નવાજૂની થશે ? કે, સ્થાનિક સ્તરે જૂથબંધી વધુ વકરશે ? વગેરે ટોપિક ચર્ચામાં છે. સાથે સાથે કમિશ્નર ( જાડા નાં ચેરમેન)ની બદલીને પણ ઘણાં લોકો રહસ્યમય ઘટનાક્રમ તરીકે જોઈ રહ્યા છે ! જેને પરિણામે જામનગર મહાનગરપાલિકા, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ અને સ્થાનિક રાજકારણ બધું જ હાલ ચર્ચામાં છે.જો કે જાડાના સી.ઈ.ઓ જે.ડી.ગઢવી અને ટીપીઓ દીપક નિમાવતની વારંવાર ટેલીફોનીક પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો પણ બન્ને અધિકારીઓએ રાબેતા મુજબ ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી.