Mysamachar.in:જામનગર
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરેલી છે કે, 19-20 માર્ચ સુધીમાં રાજ્યમાં માવઠું અથવા માવઠાં જેવો માહોલ સર્જાઈ શકે છે. અને રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી પણ શકે છે. જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં આજે બુધવારે સવારે સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમિયાન અને ફરીથી સવારે નવ વાગ્યા આસપાસ, માવઠાં જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ધૂળની ડમરીઓ સાથે વંટોળ પ્રકારનો પવન સૌએ અનુભવ્યો. પવનની ગતિ પણ સામાન્ય દિવસોમાં હોય છે તેનાં કરતાં બે-ત્રણ ગણી રહી હતી. આકાશમાંથી છૂટાંછવાયાં છાંટા પણ શહેર પંથકમાં ક્યાંક ક્યાંક પડી ગયા અને આખું આકાશ જાણે પાણીકલર ! પાણી ભરેલાં આકાશનો માહોલ અષાઢી વાતાવરણની યાદ અપાવી ગયો.
જામનગર ઉપરાંત રાજકોટ અને કચ્છ સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારનું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે. કેટલાંક વિસ્તારોમાં તો કાલે મંગળવારે સાંજથી જ આ પ્રકારનું બોઝિલ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. જામનગરમાં આજે સવારે નવ વાગ્યા સુધી સૂર્યનારાયણનાં કિરણો માટે પ્રવેશ પણ બંધ રહ્યો. જેને કારણે વાતાવરણમાં ભેજનો ભાર અનુભવાયો.
હવામાન વિભાગ કહે છે, પૂર્વ દિશામાં ટર્ફ સર્જાયો હોય, આગામી ચાર પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગે નિહાળી છે. જામનગર શહેર પંથક ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રકારનો માહોલ અનુભવાઈ રહ્યો છે. ખેડૂતો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે.