Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ-ડીસા અને રાજકોટ જેવાં સૂકાં વિસ્તારોમાં ઉનાળો કાળઝાળ હોય છે. રીતસર લૂ નો એટેક થતો હોય છે. અને અંગ દઝાડતી ગરમી લોકો તથા પશુ પંખી અનુભવતાં હોય છે. પરંતુ હવે તો કલાયમેન્ટ ચેન્જ જાણે કે બારણે ટકોરા આપી રહ્યું હોય એમ, જામનગર અને પોરબંદર જેવા દરિયાકિનારાના પ્રદેશોમાં પણ મહત્તમ તાપમાન 40 અને 40+ તરફ આગળ વધી રહ્યું હોય, જામનગરનાં નગરજનો અકળામણનો અહેસાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ગમે તેટલી ગરમી અનુભવાય સામાન્ય રીતે જામનગરમાં મહત્તમ તાપમાન ભાગ્યે જ 40 ડિગ્રી થતું હોય છે. મોટેભાગે 37-38 ડિગ્રી આસપાસ રહેતું હોય છે. અને એમાં પણ ખાસ કરીને સવાર સાંજ દરિયાઈ પવનોને કારણે શહેરમાં ઠંડકનો અહેસાસ ઉનાળામાં પણ થતો હોય છે અને વાતાવરણ ખુશનુમા રહેતું હોય છે.
પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં તાપમાન ઉંચકાયું છે. રાજકોટ જેવાં શહેરોમાં તો મહત્તમ તાપમાનનો પારો 44 નો અંક ઠેકી જવા થનગની રહ્યો છે. તેની સાથે સાથે જામનગરમાં પણ 37-38 રહેતું મહત્તમ તાપમાન 39.8 રહ્યા પછી, 40 નાં આંકે પહોંચી ગયું છે ! હવે આપણે પણ 40+ ની ક્લબમાં જાણે કે પ્રવેશી રહ્યા છીએ ! બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કહેવાયું છે કે, સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગરમાં પણ આગામી 16 તારીખ સુધી ‘હીટવેવ’ રહી શકે છે !!