Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં એક વાડીના કૂવામાંથી ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષનો તેનો ભાઈ મૃત હાલતમાં મળી આવ્યા પછી મૃતક બાળકોની માતા અત્યંત બીમાર અવસ્થામાં મળી આવી છે, અને તેણીને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોચાડ્યા બાદ તેણીએ જ પોતાના માસુમ બાળકોને પ્રથમ કૂવામાં ફેંકી દઈ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યાની અને બન્ને બાળકોની હત્યા નિપજાવ્યાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.
કાલાવડ તાલુકાના પીઠડિયા-1 ગામમાં રહેતા નિતેશભાઇ ગોરધનભાઈ ડાંગરિયા નામના ખેડૂતની વાડીના કૂવામાંથી પરમદીને સાંજે 6.30 વાગ્યાના અરસામાં બે બાળકોના મૃતદેહ પાણીમાં તરતા હોવાનું ધ્યાનમાં આવતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પીપળીયા ગામના ખેડૂત નીતિશભાઈ ડાંગરિયા ની વાડીમાં જ રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની બદિયાભાઈ કાનીયાભાઈ પલાસ નામના આદિવાસી શખ્સના બે સંતાનો જેમાં દેવરાજ બદીયાભાઈ પલાસ (ઉંમર વર્ષ 5) તથા રિયા બદીયાભાઈ પલાસ (ઉંમર વર્ષ 3 મહિના) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ દ્વારા મૃતક માસુમ ભાઈ બહેનોના પિતા બદીયાભાઈ પલાસનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેના જણાવાયા અનુસાર પોતાની પત્ની ચકુબેન કે જે પોતાના બે માસુમ બાળકો સાથે એકાએક લાપતા બની ગઈ હતી.
તપાસ દરમિયાન મૃતક બાળકોની માતા ચકુબેન કે જે પડધરી પંથકમાંથી બીમાર અને ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવતા જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, માતા ચકુબેન પોતાની બીમારીથી ત્રસ્ત થઇ ગઈ હોવાને કારણે પ્રથમ બાળકોને કુવામાં ફેંક્યા બાદ પોતે પણ કુવામાં ઝંપલાવ્યું હતું પરંતુ તે બચી ગઈ હતી.કાલાવડ ગ્રામ્ય પોલીસે પોતે મરી જશે તો બાળકોનું કોણ તેમ વિચારી બન્ને બાળકોને કુવામાં ધકેલી દેનાર માતા સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.