Mysamachar.in-જામનગર:
ઘણાં બધાં સરકારી વિભાગો એવાં હોય છે જેઓને કળાઓ કરવી પસંદ હોય છે. એમાં પણ અમુક અધિકારીઓ તો વળી ચોસઠ કળાઓનાં જાણકાર હોય છે. આવા કળાકારો પોતાની કલા કોઈ જોઈ ન જાય તે માટે બધી જ રીતરસમો અપનાવવાની વધારાની કળા, પાંસઠમી કળા પણ જાણતાં હોય છે. જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ પાંસઠમી કળા પણ જાણે છે ! યસ, Mysamachar.in દ્વારા આ કચેરીની સોનોગ્રાફી કરી લેવામાં આવી છે અને કચેરીનાં પેટમાં પાપ હોવાનું જાણવા મળ્યું પણ છે. આ કચેરીમાં બોસ તરીકે મહિલા અધિકારી છે, જેઓ ખૂબ જ બાહોશ છે અને મીડિયાથી ભાગતા ફરે છે. તેઓ પોતાની કામગીરી અંગે કશું પણ બોલવા રાજી નથી !
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવું ભારેખમ નામ ધરાવતી આ કચેરી આખો દિવસ શું કામ કરે છે ? તે અંગેની વિગતો અને માહિતીઓ જાહેર ના થયા તે માટે સતર્ક રહે છે. કચેરી ભળતા જવાબો આપવા ટેવાયેલી છે ! વિગતો જાહેર કરવાની સ્થિતિમાં પણ આ કચેરી વિગતો અધૂરી રાખવાની તકેદારી રાખે છે. કસૂરવાર ઉદ્યોગ તથા યુનિટની ફેવર થઈ શકે તે પ્રકારની કામગીરી કાગળો પર કરે છે !
દાખલા તરીકે, જામનગર નજીકના લાખાબાવળ ખાતે એક ઔદ્યોગિક યુનિટમાં આ કચેરીનાં અધિકારી ગયા હતા. આ યુનિટ પાણીનું પ્રદૂષણ ફેલાવે છે એ વિગતો રેકર્ડ પર આવી ગઈ. પછી, આ કચેરીએ આ યુનિટને કોઈ કારણસર તાળું લગાવી દેવામાં આવે એવી સૂચના આપી. આ માટે એક લેટર તૈયાર કરવામાં આવ્યો. લેટર યુનિટ માલિક ઉપરાંત વીજતંત્રને પણ મોકલવામાં આવ્યો. વીજતંત્રને ભલામણ કરવામાં આવી હતી કે, આ યુનિટનું વીજજોડાણ કટ કરવામાં આવે.
આ લેટરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કારીગરી એ કરી છે કે, આ લેટર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએથી કઈ તારીખે આઉટવર્ડ કરવામાં આવ્યો ?! એ તારીખ કોઈને ખ્યાલ ન આવે તે રીતે, સંતાડીને તારીખ પ્રિન્ટ કરી ! આ પ્રિન્ટ પણ લેટરના અન્ય પ્રિન્ટ થયેલાં શબ્દો કરતાં આછાં કરવામાં આવ્યા છે અને મૂળ લખાણમાં સંતાડીને ગોઠવવામાં આવ્યા છે !! પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ રીતે શક્ય એટલું છૂપાવી, શું સાબિત કરવા ઇચ્છે છે ?! અથવા, કચેરીનાં પેટમાં ‘પાપ’ શું છે ?! તેની સોનોગ્રાફી કરતાં આ વિગતો મળી આવી છે. ખુદ વડાપ્રધાન ઇચ્છી રહ્યા છે કે, દેશવાસીઓ માટે કામ કરતી સરકારી કચેરીઓ પારદર્શિતા જાળવે. ગુજરાત સરકાર પણ આવી પારદર્શકતા માટે કટિબદ્ધ છે ત્યારે, આ કચેરી સૌને ઉઠા ભણાવવાની દાનત શા માટે દેખાડી રહી છે ?! તે પ્રશ્નનો જવાબ આપોઆપ સ્પષ્ટ થઈ રહ્યો છે.