Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આજે બીજી વખત હાલારની રાજકીય મુલાકાતે આવી રહ્યા હોય, સ્થાનિક અને રાજ્યનાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને હાલારીઓમાં સારૂં એવું આકર્ષણ જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારે બપોરે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને જનસભાને સંબોધન કરવાનાં હોય, આમ આદમી પાર્ટીના જામનગર અને દ્વારકા જિલ્લાનાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ જબરદસ્ત ઉત્કંઠા છે કેમ કે ખૂબ જ ટૂંકા સમયગાળામાં કેજરીવાલ બીજી વખત હાલારમાં આવી રહ્યા છે. આ પહેલાં તેઓએ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે ટાઉનહોલ કાર્યક્રમ જનસંવાદનાં રૂપમાં ગત્ મહિને યોજયો હતો, તે કાર્યક્રમને પણ જબરદસ્ત સફળતા મળી હતી.
આજે કેજરીવાલ બપોરે દોઢેક વાગ્યે યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી જશેયાત્રાધામ દ્વારકા ખાતે કેજરીવાલનાં આગમન પૂર્વે જબ્બર તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાનાં અંદાજે ૧૦,૦૦૦ થી વધુ લોકો કેજરીવાલનાં દ્વારકા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એવું આયોજન ખૂબ જ ચોક્કસ રીતે ગોઠવવામાં આવ્યું છે.અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.અરવિંદ કેજરીવાલ બપોરના સમયે જનસભાને સંબોધશે. ત્યારબાદ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ વાયા પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે અને સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે અને તેમની વેદના સાંભળશે.
અરવિંદ કેજરીવાલનાં દ્વારકા કાર્યક્રમ અંગે ગઈકાલે ગુરૂવારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને ૭૮- જામનગર ઉત્તર વિધાનસભાનાં પાર્ટીનાં ઉમેદવાર કરશન કરમૂર, જિલ્લા અધ્યક્ષ પ્રકાશ દોંગા, મહામંત્રી આશિષ કંટારિયા તથા મીડિયા ઇન્ચાર્જ નિલેશખાખરીયાએ જામનગરનાં પત્રકારોને ઉપરોક્ત વિગતો પત્રકાર પરિષદમાં શેયર કરી હતી અને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનાં દ્વારકા કાર્યક્રમ અંગે સમગ્ર હાલારમાં ભારે ઉત્તેજના અને ઉમંગ જોવા મળી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે, ટૂંકા સમયગાળામાં કેજરીવાલ બીજી વખત હાલારની મુલાકાતે આવ્યા હોય સ્થાનિક રાજકારણમાં જબરો ગરમાવો જોવા મળી રહ્યો છે અને લોકોમાં પણ જબરદસ્ત ઉત્કંઠા જાગી છે.