Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે રેકડી પથારા સહિતના દબાણો છે, પણ તેમાં પણ ખાસ કરીને બેડીગટથી શરુ કરીને રણજીત રોડ, દરબારગઢ સુધી સવારનો સમય ટ્રાફિક જામની સમસ્યા વર્ષો જૂની છે, અને અહી આડેધડ ઉભા રહેતા રેકડી પથારાવાળાઓને કારણે અહી વારંવાર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા મનપાની એસ્ટેટવિભાગની ટીમ કામે લાગી છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરાની સુચના બાદ એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષિત અને દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા સહિતની એસ્ટેટ વિભાગની 14 માણસોની ટીમ સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી આ રોડ પર અલગ અલગ ગોઠવી દઈ અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વારંવાર અહીંથી દુર ખદેડવા છતાં પણ જામનગરના રણજીત રોડ ઉપર સવારથી બપોર સુધી અસંખ્ય રેંકડીઓ ખડકાઈ જાય છે. આથી બેડી ગેઈટથી દિપક ટોકીઝ સુધીના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા રહે છે. તાજેતરમાં જ અહી એમ્બ્યુલન્સ ફસાઈ જવાનું પણ સામે આવ્યા બાદ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેશ કગથરાએ આ અંગે જરૂરી વ્યવસ્થા કાયમી ગોઠવાઈ અને પગલા લેવાય તે માટે એસ્ટેટ વિભાગને સૂચનાઓ કરી છે.
જે અંતર્ગત શુક્રવારે રણજીત રોડ ઉપર ખાદી ભંડારથી દિપક ટોકીઝ-સજુબા હાઈસ્કૂલ સુધીના માર્ગ પર બન્ને તરફ ખડકાયેલી રેંકડીઓના દબાણો દૂર કરી દેવામાં આવ્યા બાદ આજે બીજા દિવસે શનિવારે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવારથી બપોર સુધી એસ્ટેટ વિભાગનો સ્ટાફ આ વિસ્તારમાં રહેશે અને રેંકડીઓ અડચણરૂપ હશે તો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શરુ કરવામાં આવેલ કાર્યવાહીથી આસપાસના દુકાનદારો, રહેવાસીઓ અને વાહનચાલકોએ સંતોષ વ્યક્ત કરી અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી માંગ કરી છે.