Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવજાત શિશુઓના તથા પ્રસૂતાઓના મોત, હંમેશા ચર્ચાઓનો અને સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જો કે આવી બાબતોમાં આંકડાઓ જાહેર થવાથી, વધુ કશુ થતું હોતું નથી. બીજી તરફ, મહિલાઓ અને નવજાત બાળકોના કલ્યાણ માટેની અનેક યોજનાઓમાં કરોડો રૂપિયાના ખર્ચ પણ થતાં રહે છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 24 નવેમ્બરથી 24 ડિસેમ્બર,2023 દરમિયાન કુલ 595 નવજાત શિશુઓના મોત નીપજયા છે. જેમાં સૌથી વધુ 53 બાળકોના મોત સાથે દાહોદ જિલ્લો પ્રથમ ક્રમે છે. જામનગર જિલ્લામાં આ સમયગાળા દરમિયાન કુલ 12 નવજાતના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 નવજાત બાળકના મોત નોંધાયા છે.
સૂત્ર જણાવે છે કે, ન્યૂમોનિયા, જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ડાયેરિયા અને કુપોષણ જેવા વિવિધ કારણોસર આ પ્રકારના મોત નીપજતાં હોવાનું રેકર્ડ પર નોંધાયેલું છે. રાજ્યમાં દૈનિક 19-20 બાળકોનાં મોત થતાં હોય, આ મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી વધુ વિગતો આપવા રાજી નથી.
માત્ર 2020ની વાત કરીએ તો, એ વર્ષમાં નવજાત શિશુઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે હતું. આજે પણ સમૃધ્ધ લેખાતા ગુજરાત કરતાં દેશના અન્ય 17 રાજ્યમાં આ મુદ્દે સ્થિતિ સારી છે. ગુજરાતમાં દર વર્ષે પ્રસૂતાઓ અને નવજાત બાળકો માટેની યોજનાઓ પાછળ લગભગ 1,000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવે છે, એ પણ ઉલ્લેખનિય છે.