Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આજે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્પોરેશનના રિવાઈઝડ સેટઅપની કમિશનરની દરખાસ્તમાં જરૂરી સુધારાઓ કરી, આ દરખાસ્ત ભલામણ સાથે મંજૂર કરવા જનરલ બોર્ડ તરફ મોકલી છે. આગામી જનરલ બોર્ડની બેઠકમાં આ દરખાસ્ત, ચર્ચાઓ બાદ મંજૂર કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ આજે જાહેર કર્યું છે કે, 2015માં કોર્પોરેશનનું મંજૂર મહેકમ 1,036 કર્મીઓનું હતું તેમાં નવી 207 જગ્યાઓ ઉમેરી, નવું અને રિવાઈઝડ સેટઅપ 1,243નું કરવામાં આવ્યું છે. જેથી કોર્પોરેશનના કાર્યબળમાં આટલી વૃદ્ધિ થશે.
સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા પરથી જાણવા મળેલ છે કે, વર્ગ-1ની 18 જગ્યાઓ, વર્ગ-2ની 107 જગ્યાઓ, વર્ગ-3ની 669 જગ્યાઓ અને વર્ગ-4ની 390 જગ્યાઓ ઉપરાંત ઓડિટ શાખા માટેની 27 જગ્યાઓ અને સેક્રેટરી શાખાની 36 જગ્યાઓ માટે આ રિવાઈઝડ સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી કોર્પોરેશનની કામ કરવાની ક્ષમતામાં વધારો થશે, જેનો સરવાળે લાભ નગરજનોને થશે.
કમિટીએ આ ઉપરાંત એક નિર્ણય એ પણ કર્યો છે કે, કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર જે 110 કર્મચારીઓ કામ કરે છે તેઓના મહેનતાણાંમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. કમિશનરે પાંચ ટકા વધારો સૂચવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક મહત્ત્વનો નિર્ણય એ જાહેર થયો છે કે, હરિયા કોલેજ સાંઢિયાપુલથી કનસુમરા ગામ તરફનો નવો DP રોડ 18 મીટર પહોળો બનાવવામાં આવશે. આ રોડ રેલવે ટ્રેકને સમાંતર બનશે, આ કામનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.