Mysamachar.in-જામનગર:
લોકશાહી વ્યવસ્થામાં ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની બંધારણીય સંસ્થાઓને જવાબદેહ બનાવી રાખવા, શાસનને દોડતું રાખવા અને પ્રજા કલ્યાણના કામોને વેગવાન બનાવી રાખવા, વિપક્ષની સજ્જતા, સતર્કતા અને સક્ષમતા અનિવાર્ય હોય છે, જવાબદાર વિપક્ષનો અભાવ લોકશાહીને પંગુતા આપે છે અને સરવાળે તેનું નુકસાન નાગરિકોએ વેઠવું પડે છે અને લોકતંત્ર એટલાં પ્રમાણમાં નબળું બનતું રહે છે,જે ગંભીર પરિણામોને જન્મ આપે છે, જામનગરમાં આ કમભાગી સ્થિતિ જોવા મળી રહી છે.
અત્રે વિપક્ષની ટીકા કરવાનો આશય નથી પરંતુ લોકશાહીની ચિંતાઓના અર્થમાં તથા પ્રજા કલ્યાણની ખેવના ખાતર જામનગરમાં વિપક્ષની વર્તમાન ભૂમિકાને સબળ બનાવવા તથા વિપક્ષને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અત્રે કેટલીક બાબતો લખવી જરૂરી જણાઈ રહી છે.
જામનગર મહાનગરપાલિકામાં એક સમય એવો હતો કે, જ્યારે વિપક્ષ અનુભવી, સક્ષમ અને અભ્યાસુ હતો. BPMC એકટની ભાવનાઓને પ્રજાહિતમાં ઉજાગર કરવામાં આવતી, શાસકો એ સમયે વિપક્ષની ગેંદબાજીનો સામનો કરતી વખતે ધ્રૂજતાં, અને અધિકારીઓ પર પણ વિપક્ષની જબરી પક્કડ રહેતી. શાસન અને તંત્રને તંગ દોરી પર ચાલવા મજબૂર થવું પડતું. અને સમગ્ર શહેરના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને મજબૂતીથી વાચા મળતી, શાસન અને તંત્ર વિપક્ષની સજ્જતા અને આક્રમકતાથી ફફડતાં અને માપમાં રહેતાં. તેથી કરદાતા નગરજનો સુખી અને ખુશ રહી શકતા હતાં.
પાછલાં 10-15 વર્ષમાં વિપક્ષ બૂઠો બની રહ્યો છે, નગરજનોના પ્રશ્નોને યોગ્ય વાચા મળતી ન હોય, તેઓ નિરાશ છે. સમસ્યાઓ દિવસે-દિવસે ઘેરી બની રહી છે, લોકોની રજૂઆતો વાંઝિયાપણાંનો અહેસાસ કરે છે,કેટલાક અધિકારીઓ બેફામ બની રહ્યા છે, શાસન તોરમાં રાચે છે. કારણ કે, વિપક્ષનો ટ્રેક રેકોર્ડ છેલ્લાં દસેક વર્ષથી વેરવિખેર છે, આ ચિંતાપ્રેરક અને ગંભીર મામલો છે. ચર્ચાઓ એવી પણ ચાલતી હોય કે કેટલાક શક્તિશાળી છે તે પોતાનું સાજુ કરવામાં વ્યસ્ત છે.
પ્રદેશ કક્ષાએથી મળતી સૂચનાઓ મુજબના કાર્યક્રમો રેઢિયાળ રીતે, બેચાર આગેવાનો અને મર્યાદિત કાર્યકરોની હાજરીમાં સ્થાનિક સ્તરે જેમ-તેમ નિપટાવી, મીડિયા કવરેજ મેળવી વિપક્ષ સંતોષ માનીને બેસી જાય છે ! શાસન કે તંત્રને ભીડવવાની તાકાત કે સજ્જતા વિપક્ષ ગુમાવી ચૂક્યો છે, આ સ્થિતિ ઈચ્છનીય ન લેખાવી શકાય. વિપક્ષને નગરજનોએ મતો આપ્યા જ છે, કોર્પોરેશનમાં સભ્ય સંખ્યા પણ છે, વિપક્ષ સંખ્યાની દ્રષ્ટિએ નામશેષ નથી થયો, વિપક્ષે લોક કલ્યાણની ભાવનાઓને કોઈ કારણસર પોતાની રોજિંદી લડાઈમાંથી જાણે કે બાદ કરી નાંખી છે, વિપક્ષ લોકતંત્રમાં પોતાની ભૂમિકા ભૂલી ગયો છે.? તો, આ ટકોર છે- પ્રજાહિતમાં.
લોકોએ વિપક્ષને કોર્પોરેશનમાં બહુ મોટી મજબૂતી નથી આપી એ હકીકત છે પરંતુ વિપક્ષનો મતદાતાઓએ સફાયો પણ નથી કર્યો. વિપક્ષને જેટલી પણ બેઠકો હાંસલ છે તે તમામ જનપ્રતિનિધિઓએ લોકોને ખાતર અને લોકશાહી માટે તથા શહેરીજનોની સુખાકારીઓ તેમજ શહેરના વિકાસ માટે ઝઝૂમવું જોઈએ, અભ્યાસુ અને જરૂર પડ્યે આક્રમક પણ બનવું જોઈએ. મુદ્દાઓનો તોટો નથી. નિરાશા વાજબી નથી. લોકો એકધારાંપણાંથી ઘણાં અંશે નારાજ પણ છે, જનવિશ્વાાસ અને જનસમર્થનની માત્રા વધારવા અને આગામી સમયમાં વધુ મજબૂત બનવા, વિપક્ષે આજના સમયમાં રાખમાંથી ઉભાં થવાનો જઝબો કેળવવો જોઈએ અને વિપક્ષ તરીકેની અપેક્ષિત ભૂમિકાઓ ભજવવા કમર કસવી જોઈએ, હાર્ડ પરિશ્રમ કરવો જોઈએ અન્યથા તેઓ સાવ ભૂંસાઈ જશે અને ત્યારે જામનગર મહાનગરપાલિકા સંપૂર્ણ બિનજવાબદાર બની જશે, વિપક્ષ જાગશે- એ અપેક્ષાઓ સાથે આટલું કાફી છે, અત્યારે.