Mysamachar.in-જામનગર:
રાજ્યના અન્ય મહાનગરોની માફક જ, જામનગરમાં પણ જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ લાંબા સમયથી એક વિશિષ્ટ ઓથોરિટી સાબિત થઈ રહી છે. બહાર એવો પ્રચાર કરવા અને કરાવવામાં આવી રહ્યો છે કે, આ એજન્સી પાસે હવે ખાસ કોઈ કામગીરીઓ રહી નથી અને આ એજન્સી હાલ સુષુપ્ત જેવી સ્થિતિમાં છે. પરંતુ ‘જાડા’ને નજીકથી ઓળખનારાઓ જાણે છે કે, આ અજગરના પેટમાં ઘણું પડયું છે અને આ અજગર થોડાં થોડાં સમયે હજુ આજે પણ, મોટાં શિકાર કરી જ લ્યે છે.
જો કે, છેલ્લા કેટલાંક સમયથી આ અજગરના પેટની એન્ડોસ્કોપી અને સોનોગ્રાફીના રિપોર્ટ ચર્ચાઓમાં છે જે દર્શાવે છે કે, જામનગરની હદો 10 વર્ષથી ભલે વિસ્તરી ગઈ હોય, આ અજગર ઘણાં બધાં બાહુબલિઓ માટે આજે પણ ઉપયોગી છે. અને, આ અજગરના માલિકો આજે પણ, સમયાંતરે ખેલ પાડી જ લ્યે છે. લાલવાડી દસ્તાવેજ રદ્દ પ્રકરણ અને ઝોનફેર- આ બન્ને મામલાઓ આજે પણ, વર્ષો બાદ પણ, ચર્ચાઓમાં છે.
લાલવાડી દસ્તાવેજ મામલો શરૂઆતથી જ નાણાંકીય દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જે-તે સમયે આ પ્રકરણમાં ખેલાયેલી બાજી સરકારે ઉંધી વાળી દીધી છે, પરંતુ આજની તારીખે કાનૂની જંગમાં આ મામલો જિવતો જ છે. અને અચરજની વાત એ પણ છે કે, જેતે સમયે ખેલ પાડનારા પૈકી અમુક આજની તારીખે, બાજી ઉંધી વળી ગયા બાદ પણ સલામત છે, કોઈ ચોક્કસ રહેમદ્રષ્ટિ વિના આમ થવું શક્ય ન હોય શકે. અથવા તો આ છેડો કોઈ ‘કામ’ ની વ્યક્તિ સુધી પહોંચતો હોય, એમ પણ હોય શકે.
આવો જ મામલો ઝોનફેર છે. આ મામલો પણ અતિ વિવાદાસ્પદ રહ્યો છે, આમ છતાં સરકારના રેકર્ડ પર હજુ સુધી કોઇનું નામ કસૂરવાર તરીકે જાહેર થયું નથી, કાં ?! એ પ્રશ્નની ચર્ચાઓ પણ ચોક્કસ વર્તુળોમાં આજેય ચાલી રહી છે, આ બંને પ્રકરણ સારાં એવા પ્રમાણમાં જાડા છે, ફાઈલો પણ દળદાર બની ચૂકી છે, અને આ બંને પ્રકરણમાં શિથિલતા પણ દેખાઈ રહી છે. મામલાઓ કોર્ટમાં પડતર છે એ હકીકત છે,
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, લાલવાડી દસ્તાવેજ મામલો આગામી 10મીએ અને ઝોનફેર મામલો આગામી 19મીએ હાઈકોર્ટમાં ચાલી શકે છે. લાલવાડી દસ્તાવેજ મામલામાં સરકારે પોતાનો પક્ષ અત્યાર સુધી મજબૂત રાખ્યો છે. સરકાર નથી ઈચ્છતી કે, આ મામલામાં કોઈ ગેરલાભ લઈ જાય. આમ છતાં આ મામલો હાઈકોર્ટમાં હજુ પડતર એટલાં માટે છે કેમ કે, દસ્તાવેજ રદ્દના સરકારના આદેશને આ મામલામાં પડકાર આપવામાં આવ્યો છે.
બીજી તરફ, ઝોનફેર મામલો પણ સંવેદનશીલ છે. મોટો વિરોધ છતાં આ મામલે હજુ નિર્ણાયક ઘડી અદાલતમાં આવી નથી. ( અને કદાચ વર્ષો સુધી આ મામલો અટકેલો અને લટકેલો પડ્યો રહે તેવી સંભાવનાઓ સૂત્ર ચર્ચી રહ્યા છે.) આ મામલો લોકસભા ચૂંટણીઓ સુધી અને ચૂંટણીઓ દરમિયાન પણ ગાજતો રહે તો પણ નવાઈ નહીં, એમ પણ સૂત્ર કહે છે. આ બન્ને મામલાઓ માત્ર વહીવટી બાબતો હતી કે, તોતિંગ કૌભાંડ છે ?! એ તપાસ કયારેય થશે?! એ પ્રશ્ન પણ જાણકારોમાં ઉઠી રહ્યો છે.