Mysamachar.in-જામનગર:
જામનગરનું જીજી હોસ્પિટલ-મેડિકલ કોલેજ સંકુલ છેલ્લા કેટલાંક વર્ષોથી નવા રૂપરંગ અને નવા કલેવર ધારણ કરી રહ્યું છે. નવી નવી ઈમારતો બની રહી છે. આ ઈમારતોમાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટૂંકમાં, સિવિલ કન્સ્ટ્રકશનનું કામ છેલ્લા કેટલાંક વર્ષોથી ગજબ ગતિમાં છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાંક સમયથી એમ કહેવાય રહ્યું છે કે, જીજી હોસ્પિટલની જૂની ઈમારતને તોડી પાડવામાં આવશે અને તેની જગ્યાએ નવી અને આધુનિક ઈમારતનું નિર્માણ કરવામાં આવશે. જો કે કોઈ કારણસર આ કામમાં ગતિ નથી આવતી. નજીકના ભૂતકાળમાં અહીંથી કેટલાંક વોર્ડ અને કેટલાંક સાધનો તથા માલસામાન નવી ઈમારતમાં શિફ્ટ થઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી પરંતુ આ ઈમારતમાં મોટાભાગની કામગીરીઓ આજની તારીખે યથાવત રીતે ચાલી રહી છે, શિફટીંગ કામગીરીઓ નોંધપાત્ર પ્રમાણમાં થતી નથી અને થઈ પણ નથી, આ આયોજનમાં વિલંબ જોવા મળી રહ્યો છે.
જામનગર સહિત સમગ્ર રાજયમાં આરોગ્ય વિભાગ હસ્તકના તમામ સિવિલ વર્ક કરવાની કામગીરીઓ PIU એટલે કે પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે, તેથી Mysamachar.in દ્વારા PIUની જામનગર કચેરીનો, જીજી હોસ્પિટલની જૂની ઈમારતના સ્થાને નવી ઈમારત નિર્માણ સંબંધે, ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. અને આ કામગીરીઓ હાલ કયા તબક્કે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
PIUની જામનગર કચેરીના મુખ્ય ઈજનેર PM પટેલએ આ બાબતે Mysamachar.in ને જણાવ્યું હતું કે, જીજી હોસ્પિટલની જૂની ઈમારતની માપણી થઈ ચૂકી છે, આ ઈમારત તોડી પાડવા જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તે જગ્યાએ જે નવી ઈમારત બનાવવાની થાય છે તે અંગેનો DPR એટલે કે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આ રિપોર્ટ મંજૂરી અને માર્ગદર્શન માટે હાલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે, ગાંધીનગર કક્ષાએથી જ્યારે પણ આ કામમાં આગળ વધવા માટેની લીલીઝંડી આપવામાં આવશે એટલે તુરંત જ આ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ જૂની ઈમારત અતિ વિશાળ છે જેમાં કેસબારી, ઈમરજન્સી વિભાગ અને વિવિધ OPD તેમજ વોર્ડસ અને ઓપરેશન થિયેટર સહિતના સેંકડો કામો થઇ રહ્યા છે, જયાં સુધી આ બધી જ કામગીરીઓ અન્ય ઈમારતમાં શિફટીંગ ન થાય ત્યાં સુધી આ જૂની ઈમારત તોડી પાડવાની કામગીરીઓ હાથ ધરી શકાય નહીં અને આ ઈમારત અતિ વિશાળ અને રાજાશાહીના જમાનાનું મજબૂત બાંધકામ ધરાવતી હોય, આ ઈમારત ખાલી થઈ ગયા બાદ તોડી પાડવામાં પણ લાંબો સમય વીતે એવી શકયતાઓ છે. બીજો મુદ્દો એ છે કે, હાલમાં સમગ્ર પાટનગર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, વિધાનસભાનું બજેટ સત્ર વગેરે કામગીરીઓમાં વ્યસ્ત છે અને ત્યારબાદ સમગ્ર તંત્ર લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે, આ બધી બાબતો જોતાં એવું દેખાઈ રહ્યું છે કે, ભલે આ કામ માટેનો DPR મંજૂરી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો હોય, કામ ખરેખર શરૂ થવામાં મહિનાઓનો વિલંબ થઈ શકે છે. અને જો આ કામમાં આ પ્રકારનો વિલંબ થશે તો સંભવિત પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે કામનો સંપૂર્ણ ખર્ચ પણ વધી શકે છે.