Mysamachar.in-વડોદરા
આજના સમયમાં ભણેલા ગણેલા સુશિક્ષિત લોકો પણ ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બને ત્યારે આશ્ચર્ય થાય છે, એવામાં અબુધાબી ખાતે શિક્ષકની નોકરી મેળવવા માટે વડોદરાની મહિલા સાથે રૂપિયા 14.34 લાખ ઓનલાઇન છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રીનિવાસ ઐયર પરિવાર સાથે રહે છે. અને અલકાપુરી સ્થિત એલ.આઈ.સી. ઓફીસ ખાતે વહીવટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. પરંતુ, તેઓ શિક્ષકની નોકરી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન 2019માં અખબારમાં માશરેક ઇન્ટરનેશનલ સ્કૂલ અબુધાબી ખાતે શિક્ષકની જરૂરિયાત છે તેવી જાહેરાત તેઓએ જાહેરાત વાંચી હતી.
જાહેરાત વાંચ્યા બાદ શિક્ષકની નોકરી વાંચ્છુક શ્રીનિવાસ ઐયરની પત્નીએ જાહેરાતમાં આપેલા ફોન નંબરો ઉપર ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ભેજાબાજોએ મેડિકલ ફિટનેસ, વિઝા અને રિક્વાયરમેન્ટ જેવા અલગ-અલગ બહાના દર્શાવી ટુકડે ટુકડે 14,34,735 રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા. માતબર રકમ પડાવ્યા બાદ ભેજાબાજોએ શિક્ષકની નોકરી પણ ન આપતા અને મેળવેલા રૂપિયા 14.34 લાખ પણ પરત ન આપતા મહિલાના પતિ શ્રીનિવાસ ઐયરે સાઇબર ક્રાઇમમાં ભેજાબાજ ટોળકીના 13 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે શ્રીનિવાસ ઐયરની ફરિયાદ પરથી ભેજાબાજ ટોળકીના 13 સાગરીતો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.