Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં ફરી એકવાર રાતના સમયે તસ્કર ટોળકી સક્રિય બની છે. આ વખતે શહેરના પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારને તસ્કરોએ નિશાન બનાવ્યું. મજાની વાત તો એ છે કે તસ્કરોએ દાગીના, રોકડ રકમ સહિત 12 લાખની ચોરી કરી તો કરી પરંતુ સાથે સાથે ઘીના ડબા અને ઘઉં પણ ચોરીને લઇ ગયા. તસ્કરોએ જે ઘરને નિશાન બનાવ્યું હતું તેના માલિક વેણુગોપાલ શ્યામલાલે જણાવ્યું કે તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે. 22 નવેમ્બરે તેઓ પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. ગઇકાલે રાત્રે જ પરત આવ્યા હતા. ઘરે આવીને જોયું તો દરવાજાનું તાળું તૂટેલું હતું, ત્યારબાદ અંદર જઇને જોયું તો ઘરવખરી વેરવિખેર હતી. બાદમાં તેઓએ પોલીસને જાણ કરી તપાસ કરી તો ઘરમાંથી 12 લાખનો મુદ્દામાલ ચોરી થયાનું બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર વિગતો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ શહેરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ને બીજી બાજુ તસ્કરો સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.