Mysamachar.in-રાજકોટઃ
છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામના ખેડૂતો દ્વારા ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરીને લઇને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વખતે ખેતરમાં મહિલાઓ અને પુરુષો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢી મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીને સંબોધીને પત્ર લખવામાં આવ્યો. આ ખેડૂતો દ્વારા અગાઉ પણ ખેતરમાં અડધી સમાધિ લઇને વિરોધ કરવામાં આવ્યો હતો, તેમ છતા તેમના પ્રશ્નોનું કોઇ નિરાકરણ ન આવતાં ફરી એકવાર તેઓએ અનોખો વિરોધ કર્યો છે. દેવકી ગાલોલ ગામના ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં GETCO દ્વારા બળજબરીથી વીજપોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ વીજપોલની કામગીરીથી ખેતરમાં ઉભા પાક અને જમીનને મોટા પાયે નુકસાની પહોંચી રહી છે. આ બાબતે થોડા દિવસ પહેલા ખેડૂતો દ્વારા જમીનમાં પ્રતીક સમાધિ લેવા અને મામલતદાર સહિતના લોકોને આવેદન આપવામાં આવ્યું હતું. તેમ છતાં પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવ્યું નથી અને બળજબરીથી વિજપોલ ઉભા કરવામાં આવી રહ્યાં છે.