Mysamachar.in:જામનગર
હાલનાં વડાપ્રધાન અને ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ ‘સૌની’ યોજનામાં સૌએ પોતપોતાની રીતે આનંદ કરી લીધો હોવાની ચર્ચા શરૂ થવા પામી છે. આ ચર્ચા શરૂ થવા પાછળ કારણ એ છે કે, આ યોજનાનાં પ્રથમ તબક્કામાં રૂ.2,008 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની વિગતો અને માહિતીઓ પ્રથમ વખત સામે આવી છે. ‘સૌની’ યોજના જામનગરમાં પણ ઘણાં સમયથી ચર્ચામાં તો છે જ, પરંતુ તપાસ કયારે શરૂ થાય છે તેનાં પર સઘળો આધાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
હાલમાં વિધાનસભા ગૃહનું બજેટસત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાઓ દરમિયાન કાલે મંગળવારે કોન્ગ્રેસનાં ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ આંકડાઓ, સમયગાળો અને જરૂરી માહિતીઓ સાથે ‘સૌની’ યોજનાનાં પ્રથમ તબક્કામાં કથિત રીતે આચરવામાં આવેલાં કૌભાંડની વાત કરી હતી. જો કે તેની સામે સરકાર તરફથી જરૂરી સ્પષ્ટતાઓ પણ ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.
અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં એમ જણાવ્યું હતું કે, 2013માં ‘સૌની’ યોજનાનાં પ્રથમ તબક્કામાં રૂ. 2,008 કરોડનું કૌભાંડ આચરાયું હતું. તેઓએ એમ પણ કહ્યું હતું કે, જે તે સમયે હસમુખ અઢિયા તથા ભાજપાનાં નીતિન પટેલ દ્વારા આ સંદર્ભે ચોક્કસ મુદ્દાઓ પર વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તેઓનાં વિરોધને ગણકારવામાં આવ્યો ન હતો !
આ કથિત કૌભાંડ અંગે અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં એમ જણાવ્યું હતું કે, તત્કાલીન નાણામંત્રી અને તત્કાલીન નાણાં સચિવની ‘ના’ હોવા છતાં તત્કાલીન સિંચાઇમંત્રી દ્વારા યોજનાનાં ટેન્ડરમાં ભાવવધારો આપવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં હાઈકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ નીમી કોનાં ભાગે કેટલાં લાભો ગયા તેની વિગતો લોકો સમક્ષ મૂકવી જોઈએ એવી માંગણી પણ મોઢવાડીયા દ્વારા કરવામાં આવી હતી.
ગૃહમાં આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે આક્ષેપોનાં તબક્કામાં ભાજપાનાં ધારાસભ્યએ આધારપુરાવા માંગ્યા હતા અને મોઢવાડીયા દ્વારા આધારો અને પુરાવાઓ રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. આ ચર્ચાને કારણે ગૃહમાં ઉતેજના છવાઈ ગઈ હતી. મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે, રાજયની તત્કાલીન ભાજપા સરકારે આ યોજનાને વહીવટી મંજુરી આપવામાં વિલંબ કર્યો હતો અને 2013માં જરૂરી મંજૂરી આપી હતી.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જેતે સમયે લોખંડનાં ભાવોમાં ઘટાડો નોંધાયો હતો છતાં તત્કાલીન સિંચાઇમંત્રીએ કોન્ટ્રાકટરને ભાવવધારો અપાવ્યો હતો. SORનાં ભાવોમાં 26 ટકાનો વધારો કરી આપવામાં આવ્યો હતો. આ કામમાં કર્ણાટકની એક બ્લેક લિસ્ટેડ કંપનીને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મોઢવાડિયાએ જે બે મહત્વનાં મુદ્દાઓ દર્શાવ્યા છે એ મુજબ જેતે સમયે સરકારની તિજોરીને આ કામોમાં રૂ. 2,008 કરોડની નુકસાની સહન કરવી પડી હતી.
* જામનગરમાં ‘સૌની’ યોજનામાં સૌને લાભ મળ્યો હોવાની ચર્ચાઓ છે, તેની તપાસ થશે ? *
‘સૌની’ યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં પણ ઘણું થયું છે. જાણકારો કહે છે: જામનગર જિલ્લામાં ઠેકેદારો, પૂર્વ ઠેકેદારો, હાલનાં અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ સહિત સૌને સરકારની આ ‘સૌની’ યોજનામાં લાભ મળ્યો છે ! એક બાબત એ પણ સપાટી પર છે કે, આ યોજનાનાં કર્તાહર્તા અધિકારીઓ ઇચ્છે છે કે, આ યોજના સંબંધે જામનગર જિલ્લામાં શું શું બન્યું છે ? તેની કોઈ જ વિગતો જાહેર ન થાય ! અધિકારીઓની આ પ્રકારની માનસિકતા આ યોજના અંગે શંકાઓને વધુ મજબૂત બનાવે છે. આ યોજનામાં પાઈપ લાઈન પાથરવા માટેનાં ખોદાણના માપ અને યોજના વિરૂદ્ધની સ્થાનિક ગ્રામજનોએ કરેલી વિગતવાર રજૂઆતો સહિતની વિગતો સ્થાનિક સ્તરે છૂપાવેલી રાખવામાં આવતી હોય, સૌ સમજી શકે છે કે,
જામનગર જિલ્લામાં આ યોજના સંબંધે સ્થાનિક સ્તરે પણ મોટો ખેલ પડ્યો હોય શકે છે. ખાનગીમાં તો ત્યાં સુધી કહેવાય છે કે, વિરોધ કરવાની ક્ષમતા ધરાવતાં સૌને પણ જામનગરમાં ‘સાચવી’ લેવામાં આવ્યા હતાં. જામનગરમાં સ્થાનિક ઓડિટ કચેરીએ સૌની યોજના હેઠળના જિલ્લામાં થયેલાં તમામ ખર્ચનં’ ઓડિટ કરી, સરકારની તિજોરીને થયેલું નુકસાન શોધી કાઢવું જોઈએ, એમ જાણકારો કહી રહ્યા છે. કેમ કે, સ્થાનિક સ્તરે પણ આ મામલો કરોડોનો છે. ખેડૂતોને વળતર બાબતે પણ તંત્ર દ્વારા ઘણી વિગતો છૂપાવવામાં આવી રહી છે ! તંત્રને ડર શા માટે છે ?! એ પ્રશ્નની ચર્ચા અવારનવાર સપાટી પર આવતી રહે છે, જેવી રીતે સૌની યોજનાની પાઈપલાઈન ઘણી વખત જમીનમાંથી બહાર આવે છે એ રીતે !