Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવે છે અને સાતેક લાખની વિશાળ વસતિ ધરાવતાં શહેરનું સંચાલન કરે છે, તેથી સ્વાભાવિક રીતે જ આ સંસ્થામાં મોટાં અધિકારીઓની જવાબદારીઓ વિશેષ હોય છે, પરંતુ એવું જાણવા મળે છે કે – કેટલાંક અપડાઉન કરતાં અધિકારીઓ પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવતાં નથી કારણ કે, આ અધિકારીઓ બહારગામથી અપડાઉન કરે છે જેને કારણે કોર્પોરેશનમાં પોતાની ભૂમિકાને યોગ્ય ન્યાય આપી શકતાં નથી. આ પ્રકારના અધિકારીઓની હાજરી અંગે તપાસ થવી જોઈએ, એવું જાણકારોનું કહેવું છે.
જામનગર મહાનગરપાલિકા એક તરફ અધિકારીઓ અને કર્મચારીઓની અછત ધરાવે છે. સરકારનાં નિયમ મુજબનાં સેટઅપ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા ધરાવતી નથી. ઘણી જગ્યાઓ ખાલી છે. અને, અધૂરામાં પૂરું ઘણાં અધિકારીઓ બહારગામથી અપડાઉન કરે છે જેઓ નિયમિત ફરજો બજાવે છે કે કેમ ?! તે અંગે કોર્પોરેશનમાં ઉદાસીનતા સેવવામાં આવે છે ! આ પ્રકારના કારણોસર કોર્પોરેશનમાં નગરજનોના સેંકડો કામોમાં વિલંબ થતો હોય છે. અરજદારોએ પોતાના કામો નિપટાવવા અધિકારીઓની ગેરહાજરીને કારણે ધક્કા ખાવા પડતાં હોય છે.
સરકારનો પરિપત્ર એવો છે કે, વર્ગ-1 તથા વર્ગ-2 નાં અધિકારીઓએ ફરજના ભાગરૂપે સંસ્થાનાં હેડકવાર્ટર ખાતે એટલે કે આ કેસમાં જામનગરમાં જ રહેવાનું હોય છે. આમ છતાં જામ્યુકોમાં ટીપીઓ શાખામાં જવાબદારી સંભાળી રહેલાં એક અધિકારી તથા સોલિડ વેસ્ટ વિભાગના એક ડેપ્યુટી ઈજનેર સહિતનાં કેટલાંક અધિકારીઓ રાજકોટ સહિતના શહેરોમાં રહે છે અને નોકરી જામનગરમાં કરે છે. સરકારનાં નિયમની ઉપરવટ જઈ તેઓ અપડાઉન કરે છે ! એટલે કે, નોકરીમાં લાકડાની તલવાર ચલાવે છે.
આ પ્રકારની પોસ્ટ ધરાવતાં અધિકારીઓએ મહત્વની જવાબદારીઓ સંભાળવાની હોય છે. તેઓનાં કાર્યક્ષેત્રમાં ચાલી રહેલાં કામોનું મોનિટરીંગ કરવાનું હોય છે. વહીવટી કામગીરી કરવાની હોય છે. અરજદારોને માર્ગદર્શન આપવાનું હોય છે. પોતાના હાથ નીચેના સ્ટાફ પાસે કામો કરાવવાનાં હોય છે. તેની સામે આ પ્રકારના અધિકારીઓ પોતે જ ફરજ પર ગમે ત્યારે વહેલા મોડા હાજર થતાં હોય તો જામ્યુકોની કામગીરીઓને ગંભીર અસરો પડે. હજારો અરજદારો પરેશાન થાય. લોકોનાં તથા વિકાસલક્ષી તેમ જ પ્રાથમિક સુવિધાઓના કામો ટલ્લે ચડે – આ બધાં મુદ્દાઓ ધ્યાનમાં રાખી આ પ્રકારના અધિકારીઓની હાજરી અને કામગીરી પર સખત વોચની જરૂર હોવાનું જાણકારો કહે છે.
ભૂતકાળમાં આ પ્રકારના એક કિસ્સામાં કમિશનરે એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા હતા. હાલમાં પણ આ પ્રકારના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે જેમાં આકરી કાર્યવાહી કરવાની આવશ્યકતા હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે, જે અધિકારીએ આ પ્રકારની બાબતો પર ધ્યાન આપવાનું હોય છે(દાખલા તરીકે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ) તેઓને ખુદને આ અંગે કશી જાણકારી નથી ! અથવા તેઓ એવો ડોળ કરે છે !
-ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શું કહે છે ?
જામ્યુકોમાં આ પ્રકારનું રેઢું રાજ ચાલી રહ્યું હોવાની જાણકારી અંગે સત્તાવાર રીતે સ્થિતિ શું છે ? તે જાણવા Mysamachar.in દ્વારા જામનગર મહાનગરપાલિકાનાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જી.જે. નંદાણિયા પાસેથી ટેલીફોનીક માહિતી લેવામાં આવી ત્યારે તેઓએ જામ્યુકોમાં આ પ્રકારના અપડાઉન કરતાં કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓ છે ? એ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, તેઓનાં નોલેજમાં (જાણકારીમાં) આ પ્રકારની કોઈ વિગતો નથી !