Mysamachar.in-જામનગર:
જામનગર શહેર દિવસે દિવસે વિસ્તાર પામી રહ્યું છે. વાહનોની સંખ્યા તથા અવરજવર પણ વધી રહ્યા છે. આ ઉપરાંત રેલવે ટ્રેક શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતો હોય, વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં સરકારનો અભિગમ પણ ફાટક મુક્ત શહેરનો છે અને આ સુત્રને જામનગર મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગ અમલી બનાવી જામનગર શહેર કઈ રીતે ફાટક મુક્ત બની શકે તે દિશામાં ફ્લાયઓવર બ્રીજ અને અન્ડર બ્રીજની દિશામાં આગળ ધપી રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ નિર્માણ માટેની કામગીરી છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ શહેરમાં વધુ બે ઓવરબ્રિજ-ફલાયઓવર બનવા જઈ રહ્યા છે. ગત્ દસમી ઓક્ટોબરે વડાપ્રધાન દ્વારા આ બંને પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે. અને, હાલ મહાનગરપાલિકા આ બંને પ્રોજેક્ટની કામગીરીને આગળ ધપાવવાની દિશામાં કાર્યરત છે. જે પૈકી એક રેલવે ઓવરબ્રિજ હાપા માર્કેટ યાર્ડ રોડ પર આકાર લેશે અને એક ફ્લાયઓવર લાલપુર બાયપાસ ચોકડી ખાતે નિર્માણ પામશે. આ બે મોટાં પ્રોજેક્ટ પૈકી હાપા માર્કેટ યાર્ડ પાસે રેલ્વે ફાટક(LC નં. 188)પર રૂ. 41.89 કરોડનાં ખર્ચે બનનારા ઓવરબ્રિજની કુલ લંબાઈ 722.34 મીટર રહેશે (1 કિમી એટલે 1,000 મીટર).
હાલમાં કાલાવડ નાકા બહારનાં વિસ્તારોનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. મહાપ્રભુજી બેઠક નજીક નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થતાં હવે આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી થશે. આ તમામ વિસ્તારોનાં વાહનો સરળતાથી રાજકોટ રોડ પર પ્રવેશ તથા નિકાસ મેળવી શકે, યાર્ડમાં અવરજવર કરતાં હજારો વાહનો રેલ્વે ક્રોસિંગ પરની વાહનોની લાંબી કતારોમાંથી મુક્તિ મેળવી શકે તથા શહેરને ફાટકમુક્ત બનાવવાની દિશામાં એક વધુ પગલું ભરી શકાય તથા એ રીતે અકસ્માતો તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી પૂરવાર થશે.
જામનગર મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની રચના કન્સ્ટ્રકશન નામની પેઢીને સોંપ્યો છે. વર્ષોથી આ કંપની ફ્લાયઓવર, ઓવરબ્રીજ, અન્ડરબ્રીજના નિર્માણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.અને હાલ જામનગરમાં નિર્માણ પામી રહેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ પણ આ કંપની દ્વારા જ આધુનિક મશીનીરી અને બહોળા મેન પવાર સાથે રાત દિવસ કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદની કંપની પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટસ પ્રા. લિ. છે.
જામનગરનાં કમિશનર વિજયકુમાર ખરાડી અને પદાધિકારીઓ મેયર બીનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, હકુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના મહત્વના પ્રોજેક્ટમાં જેની મુખ્ય જવાબદારી હોય છે તેવા ઇન્ચાર્જ ડીએમસી અને સીટી ઈજનેર ભાવેશ જાની કોઈપણ કામ જે શહેરના લોકોની સુખાકારી માટે થઇ રહ્યું છે. તેમાં સલામતી અને ગુણવતાના આગ્રહી છે. અને ખુબ મોટો અનુભવ તેવોને શહેરના મહત્વના પ્રોજેક્ટને કારણે છે.તેમની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટનાં કન્સલ્ટન્ટ દ્વારા સ્ટ્રકચરલ ડ્રોઈંગ તૈયાર કરી રેલ્વે વિભાગ તથા માર્ગ-મકાન વિભાગને મંજૂરી અર્થે મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં અને ઓવરબ્રિજની નિર્માણ કામગીરી શરૂ કરવામાં અંદાજે ત્રણેક માસનો સમય પસાર થશે, એવો હાલનો અંદાજ છે. હજારો નગરજનો તથા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી યાર્ડ ખાતે આવતા જતાં હજારો વાહનચાલકો માટે આ પ્રોજેક્ટ ખૂબ જ આશિર્વાદરૂપ પૂરવાર થશે.
-આ રહી ઓવરબ્રિજની ટેકનિકલ વિગતો
કુલ લંબાઈ: 722.34 મીટર
રેલ્વે પોર્શન: 118.92 મીટર
એપ્રોચ પોર્શન: 603.42 મીટર (બંને તરફનાં કુલ મીટર)
બ્રિજની પહોળાઈ: 12 મીટર
બ્રિજની કલિયર ઉંચાઈ: 8.705 મીટર
બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની પહોળાઈ: 6.50 મીટર