Mysamachar.in-જામનગર:
હાલ શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે, અને ઉપરથી માવઠાને કારણે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવી ઠંડીમાં મોટી ઉમરના લોકો પણ બહાર વિચારતા નીકળે તેવામાં ત્રણ ચાર દિવસમાં જન્મેલી નવજાત બાળકીને ખુલ્લામાં જાળીઓમાં ફેંકી દેતા એ વ્યક્તિઓનો જીવ કેમ ચાલ્યો હશે..? આ સવાલ જ રૂંવાળા ઉભા કરી દે તેવો છે.અને જાણે માનવતા મરી પરિવારી હોય તેવો કિસ્સો જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામેથી સામે આવ્યો છે, કાલાવડ તાલુકાના ટોડા ગામેથી ગઇકાલે સાંજે એક નવજાત બાળકી જીવિત અવસ્થામાં મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થયું હતું, પોલીસે તાત્કાલિક બાતમી સ્થળે દોડી જઇ બાળકીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે પહોંચાડી તેને ત્યજી દેનારા તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલ લાધાભાઈ નસીર નામના એક ખેડૂતની વાડીના સેઢે ગઈકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના બોરડીના ઝાંખરામાં કાપડમાં વિટાળેલી એક નવજાત બાળકી રડતી અવસ્થામાં મળી આવી હતી. જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઈ બાળકી નો કબજો સંભાળ્યો હતો, અને તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી. સમયસર સારવાર મળી જતાં બાળકીનો બચાવ થયો છે, અને તેની સારવાર ચાલી રહી છે. માત્ર ચાર દિવસ પહેલાં જ જન્મેલી બાળકીને કોઈ અજ્ઞાત સ્ત્રી અથવા તો તેણીના માતા-પિતાએ બાળકીનો જન્મ છુપાવવા માટેનું આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગાવી પોલીસે અજ્ઞાત માતા-પિતા સામે ગુનો નોંધ્યો છે, અને આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી છે.