Mysamacharin-જામનગર
જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફીસર જી.જે.નંદાણીયા વિરુદ્ધ તેના જ ઉપરી અધિકારી આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા નંદાણીયા દ્વારા મનપાને આર્થિક નુકશાન પહોચાડવા સહિતની બાબતનો ધગધગતો અને પુરાવાઓ સાથેનો રીપોર્ટ કમિશ્નરને સાદર કરવામાં આવ્યો છે, આ રીપોર્ટ ઉપરાંત શાશક જૂથના એક સીનીયર કોર્પોરેટર દ્વારા પણ કમિશ્નરને આ મામલે લેખિત રજૂઆત કરી પગલા લેવાની ભલામણ કરવામાં આવી છે, આ તમામ વચ્ચે હવે મનપાના લડાયક વિપક્ષ મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા પણ ટેક્સ ઓફીસર સામે કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી અને ઉચિત કાર્યવાહી કરવા કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે, શાશક અને વિપક્ષના કોર્પોરેટરોની લેખિત રજૂઆત અને આસી.કમિશ્નર ટેક્સના રીપોર્ટ બાદ પણ આ મામલે ટેક્સ ઓફિસરને બચાવવા એક અધિકારી હવાતિયા મારી રહયાનું પણ સુત્રો જણાવે છે.
મનપામાં અતિ ચકચારી બનેલા આ ગંભીર મામલે વોર્ડ નંબર 4 ના કોંગી મહિલા કોર્પોરેટર રચનાબેન દ્વારા કરેલ રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે, ટેકસ ઓફિસર નંદાણીયાની શાસકપક્ષ સાથે સાંઠગાંઠ છે જેને લીધે તેની સામે કોઇ એકશન લેવામાં આવતા નથી. અને જામનગર મહાનગરપાલિકાની છબી ખરડાઇ રહી છે.જામનગર મહાનગરપાલિકાના ટેકસ ઓફિસર નંદાણીયા દ્વારા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવેલ છે. જેને હિસાબે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવુ પડે છે. જે અંગે આસી. કમિશ્નર ટેકસ દ્વારા બે-બે વખત લેખીતમાં આધાર પુરાવા સાથે રીપોટીંગ કરવામાં આવે છે તેમ છતાં પગલા લેવામાં નથી આવતા માટે આ ટેક્સ ઓફીસર નંદાણીયાનો નાતો વહિવટી પાંખ કે સત્તાધારી પક્ષ સાથે હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
પત્રમાં બે બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, કાં તો વહિવટી પાંખ કર્મચારીઓમાં એવો મેસેજ દેવા માંગે છે કે તમ-તમારે ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરો અમે તમારી વિરૂધ્ધ કોઇ પગલા નહિ ભરીએ કારણ કે અમે ટેક્ષ ઓફિસર નંદાણીયા વિરૂધ્ધ પણ કોઇ પગલા ભરેલ નથી અને કોઇ અધિકારીએ કોઇ કર્મચારીના ભ્રષ્ટાચાર અને કૌભાંડનો રીપોર્ટ કરવો નહિ કારણ કે તેમ કરવાથી કંઇ ફરક પડતો નથી માટે ખુલ્લેઆમ જામનગરની જનતાને લુંટાઇ રહી છે.
અને કાં પછી આ વગોવાયેલા ટેકસ ઓફિસર નંદાણીયાની શાસકપક્ષ સાથે મોટી સાંઠ-ગાંઠ છે અને તેઓના ખોટા કામો કરી દેતો હોવો જોઇએ તો જ આ સતાધારી પક્ષ મુક પ્રેક્ષક બનીને બેઠો હોવાનો આક્ષેપ આ પત્રમાં કરવામાં આવ્યો છે. અત્રે એ યાદ અપાવીએ કે તાજેતરમાં જ મનપાના સામાન્ય એવા એક સિક્યુરીટી ગાર્ડને તો તુરત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો પણ જેની સામે પુરાવા સહિતના બબ્બે રીપોર્ટ મહિનાઓથી થયો છે તેની સામે કાર્યવાહી કેમ નહી..? કે પછી એવું છે કે મોટા મગરમચ્છને છોડી દઈ અને દરવખતે નાની માછલીઓનો જ મનપામાં ભોગ લેવાતો રહેશે.
-આ મામલે શું કહે છે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા….
વિપક્ષ કોર્પોરેટર રચના નંદાણીયાની રજૂઆતમાં શાશકપક્ષ ભાજપના પદાધિકારીઓ સામે આંગણી ચીંધતા આક્ષેપો કરવામાં આવતા તટસ્થતાના ભાગરૂપે my samachar દ્વારા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ વિપક્ષ કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું કે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા ટેક્સ ઓફિસર નંદાણીયા વિરુદ્ધ કરવામાં આવેલ બે ખાનગી રીપોર્ટ મારા ધ્યાનમાં આવતા અને તેમાં મનપાના આર્થિક હિતને લગત બાબતોનો ઉલ્લેખને ગંભીરતાથી લઈને મેં પોતે આ મામલે કમિશ્નરને રૂબરૂ અને લેખિત એમ બન્ને રીતે આ મામલે તટસ્થ તપાસ કરી અને જો ટેક્સ ઓફિસર કસુરવાર જણાઈ આવે તો નિયમમુજબની જે કાર્યવાહી થતી હોય તે તાત્કાલિક ધોરણે કરવા રજૂઆત કરી છે.અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અમારી રજૂઆત બાદ આ મામલે તપાસ પણ કરવાના કમિશ્નર દ્વારા આદેશ કરી દેવાયા બાદ આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.