Mysamachar.in-જામનગર
કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શિકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે. આ વર્ષે સતત ચોથા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાને કોરોના વાયરસના સંક્રમણના વિપરિત સંજોગો હોવા છતા પણ જ્વલંત સફળતા મેળવી છે. જામનગર જિલ્લામાં આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ 1લાખ 60હજાર 630ઘન ફૂટથી વધુનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની તા. 10 જૂને પૂર્ણ થયેલી આ અભિયાનની ચોથી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રએ આ કોવિડ-19ની આફતને અવસરમાં બદલવાનો પડકાર ઝીલી લીધો હતો.
કોવિડ-16ની મહામારીના આ કપરા સમયમાં શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આંશિક નિયંત્રણોની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં જામનગર ખાતે 26 હજાર 246 માનવદિન રોજગારીનું નિર્માણ થયું. તદઅનુસાર, જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં 10 જુન સુધીમાં 105 કામો પૂર્ણ થયા છે.
આ અભિયાન હેઠળ આ વર્ષે જામનગરના 25 તળાવો ઊંડા કરવામાં આવ્યા, 18 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ અને રિપેરીંગ, 23 નહેરોની મરામત/જાળવણી, 12 નહેરો, ઇંટેક સ્ટ્રકચર અને કાંસની સફાઇ કરવામાં આવી આ ઉપરાંત અન્ય જળાશયના ડિસ્ટિલીંગ, અનુશ્રવણ તળાવ રીપેરીંગ, કંટુરટ્રેન્ચ વગેરે કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 856 એક્સ્કેવેટર/જે.સી.બી. મશીન અને 2491 ટ્રેક્ટર/ ડમ્પરને મળીને કુલ 3,347 યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી, કેમ કે કોવિડ-19ની મહામારી વચ્ચે આંશિક નિયંત્રણોની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું.
આ સ્થિતિમાં રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે. જનસહયોગ થકી કોરોના મહામારીના આ કપરા કાળમાં પણ આ અભિયાનને અપ્રતિમ સફળતા મળી છે.