Mysamachar.in-જામનગર
અન્ય જીલ્લાઓમાંથી જામનગર ખાતે કોરોના દર્દીઓનો મોટો પ્રવાહ આવી રહ્યો છે, જાણવા મળતી વિગતો પ્રમાણે દાખલ દર્દીઓમાં 50% થી વધુ દર્દીઓ જામનગર બહારના જીલ્લાના છે, આ દર્દીઓ સાથે પૂરી સહાનુભુતિ છે, અને તેની પણ જામનગરમાં સારવાર થાય તેનાથી કોઈને લેશમાત્ર વાંધો નથી પણ સ્થિતિ એવી સર્જાઈ છે કે જયારે જામનગરમાં વસવાટ કરતા દર્દીઓને જામનગરમાં જ જગ્યા નથી મળતી…. અને તેને આમ થી તેમ ફાફા મારવા પડે તે સ્થિતિ કેવી કહેવાય.. એવામાં હજુ વ્યવસ્થાઓ જામનગરમાં વધારવામાં આવી રહી છે પણ જો બહારના જીલ્લાના દર્દીઓનો પ્રવાહ અવિરત રહેશે તો નવી વ્યવસ્થાઓ જે ઉભી કરવામાં આવી રહી છે તેમાં પણ જામનગરના દર્દીઓને દાખલ થવું મુશ્કેલી ભર્યું હશે.
હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વર્ષ 2020માં 1200 બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલ હતું. જેમાં સંક્રમણમાં ખૂબ વધારો થવાથી હાલ 1608 બેડ સુધીની વ્યવસ્થાઓ નિર્મિત કરી દર્દીને સારવાર આપવામાંઆવી રહી છે. આ સમયમાં દરેક દર્દીની જિંદગીને બચાવવાની પ્રાથમિકતા સાથે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે હાલ ચાર બિલ્ડિંગમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન, વેન્ટિલેટર વગેરે સારવાર માટેની સર્વે આવશ્યક સાધન સુવિધા સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દિનપ્રતિદિન દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વધુ 370 ઓક્સિજનની સુવિધાયુક્ત પથારીની વ્યવસ્થાના નિર્માણ અંગે જાહેરાત કરી હતી, જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.
તંત્ર દ્વારા જામનગર શહેરમાં સરકારી ડેન્ટલ હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સાથે સુસજજ પથારી વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ દર્દીઓના પરિજનોને પણ ત્યાં કોઇપણ તકલીફ ન રહે તે માટે હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન કાઉન્ટરની તમામ સગવડો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ દર્દીને સારવારલક્ષી કોઈપણ તકલીફ ઉત્પન્ન ન થાય તે માટે જી.જી.હોસ્પિટલ ખાતે ચાર અલગ-અલગ બિલ્ડિંગમાં થઈને કુલ 1608 બેડની વ્યવસ્થા થઈ ચૂકી છે. આ ઉપરાંત ઓક્સિજનના અભાવે વેઇટિંગમાં એમ્બ્યુલન્સમાં રહેલ કોઈ દર્દીને પણ તકલીફ ન પડે તે માટે દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને તત્કાલ સારવાર શરૂ કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત બીજા તબક્કામાં ડેન્ટલ હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલને પણ ઓક્સિજન સાથે સુસજ્જ બેડમાં પરિવર્તિત કરવાની સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે, પરંતુ કન્સલ્ટન્ટસ, દર્દીની સ્થિતિ અને પરિજનોની સવલતોને ધ્યાને રાખીને આગામી સમયમાં દર્દીઓને તબક્કાવાર ત્યાં શિફ્ટ કરવામાંઆવશે. આ ઉપરાંત જી.જી.હોસ્પિટલમાંથી શિફ્ટ કરાયેલ નોન કોવિડ સેવાઓ પણ આયુર્વેદ હોસ્પિટલના સંકુલમાં કાર્યરત છે, જ્યાં મેડિસિન વિભાગના ડોક્ટરો દર્દીઓની સેવામાં રત છે. વળી જે દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે,
તેમને સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જામનગર ખાતે હાલ ઈ.એસ.આઇ.એસ હોસ્પિટલમાં 25 બેડ કાર્યરત હતા જેમાં ઉમેરો કરી સમરસ હોસ્ટેલમાં નવા 400 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. જિલ્લાના તમામ ડોક્ટર, પેરામેડિકલ, સર્વે આરોગ્ય કર્મીઓ ખૂબ ઉત્સાહપૂર્વક દર્દીઓની સેવામાં સમર્પિત છે પરંતુ આ સાથે જ જો જામનગરવાસીઓનો પણ સહયોગ મળે તો આ મહામારીને અટકાવવામાં સફળતા મળશે તેમ ઉમેરી ડિનએ લોકોને ઘરમાં રહી સ્વસ્થ રહેવા માટે અપીલ કરી હતી.
-તંત્રની જ કબુલાત કે બહારના દર્દીઓની સંખ્યા મોટી..
ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જામનગર ખાતે હાલ જામનગર જિલ્લા સિવાયના મોરબી, રાજકોટ જિલ્લાના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા,પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના દર્દીઓ પણ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે.