Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના વોટર વર્કસની સઘન ઝુંબેશમાં હજારો ગેરકાયદેસર નળ રેગ્યુલર કરાયા છે અને હજુય સાતહજારથી વધુ ને 31 ડીસેમ્બર પહેલા રેગ્યુલર ન કરાવે તો ફોજદારીની તાકીદ કરાઇ છે જામનગર કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગ દ્વારા ભુતીયા નળ જોડાણોને કાયદેસરતા આપવાના ચાલી રહેલા કાર્ય દરમ્યાન 17 હજાર જેટલા ઝડપાયેલા ભુતીયા નળ જોડાણો પૈકી 9,544 જોડાણો નિયમિત થયા છે. જયારે બાકીના 7,385 આસામીઓને તેમના નળ જોડાણો રેગ્યુલરાઇઝ કરાવવા તાકિદ કરવામાં આવી છે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં રહેતા અમુક આસામીઓ દ્વારા કોર્પોરેશનની હયાત પાઈપ લાઈનમાંથી પીવાના પાણી માટે અન-અધિકૃત નળ કનેક્શન મેળવવામાં આવેલ છે.
તેવા કનેકશનો રૈગ્યુલરાઇઝ કરવા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.26-08-2020 ઠરાવ મુજબ મહાનગરપાલિકામાં સરકારી કે ખાનગી જમીનમાં રહેણાકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ દ્વારા પાણીના અડધા ઈંચની પાઈપના ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર કનેકશન લીધેલ હોય તેવા એકમોને સરકારની યોજના મુજબ તા.31-12-2020 સુધીમાં આવા ગેર કાયદેસર પાણીના કનેકશનને રૂ.500 ની રકમ વસુલ લઈ આવા કનેકશનો કોર્પોરેશન દ્વારા રેગ્યુલર કરી આપવા ઠરાવ કરવામાં આવેલ છે જે મુજબ કાર્યવાહી કરવાના ભાગરૂપે જામનગર કોર્પોરેશન ના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.સી.બોખાણી દ્વારા કુલ 14 ટીમો તૈયાર કરીને ગત સપ્ટેમ્બર માસથી શહેરનાં તમામ વોર્ડમાં અન-અધિકૃત નળ કનેકશનનો સર્વે હાથ ધરવામાં આવેલ છે.
હાલ સુધીમાં કુલ ત્રેપનહજારથી વધુ પ્રોપટીનું સર્વે કરવામાં આવેલ છે. અને સર્વે દરમિયાન કુલ સોળહજારથી વધુ રહેણાંકોમાં અન-અધિકૃત નળ કનેકશનો જોવા મળેલ છે. આવા તમામ રહેણાંક ધારકોને તેઓ દ્વારા મેળવવામાં આવેલ અન-અધિકૃત નળ કનેકશનો વોટર વર્કસ શાખામાં રૂબરૂ આવીને એક વર્ષે (2020-21)નો પાણી ચાર્જીસ રૂ.1150 તથા રાજય સરકારના ઠરાવ મુજબ રૂ.500 મળીને રૂ.1650 ભરીને અન-અધિકૃત નળ કનેક્શન રેગ્યુલરાઇઝ કરાવવા નોટિસો ઈશ્યુ કરવામાં આવી હતી તેમાંથી હાલ સુધીમાં 9,544 આસામીઓ દ્વારા જરૂરી ચાર્જીસ ભરપાઈ કરીને તેઓના નળ કનેકશનો રેગ્યુલર કરાવવામાં આવેલ છે, જયારે હજુ પણ 7,385 આસામીઓ દ્વારા પોતાના નળ કનેકશનો રેગ્યુલરાઇઝ કરાવવાનાં બાકી છે.
…………નહી તો ફોજદારી થશે
વોટર વર્કસ શાખાના વડા પી.સી.બોખાણીએ જણાવ્યુ છે કે તા.31 ડીસેમ્બર સુધીમાં તમામ કનેકશનો રેગ્યુલર કરાવવાના રહેશે ત્યારબાદ આવા કોઈ અનઅધિકૃત કે ભૂતિયા નળ કનેક્શન જોવા મળશે અથવા નોટીસ ઈશ્યુ કરેલ હોવા છતાં જો રેગ્યુલરાઇઝ નહિ કરવામાં આવેલ હોય તો આવા નળ કનેકશનને ડીસ-કનેકટ કરી પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. જે ધ્યાને લઈ સમય મર્યાદામાં જરૂરી ચાર્જીસ ભરયાઈ કરી પોતાના કનેકશનો મહાનગર સેવા સદનં, વોટર વર્કસ શાખાના ત્રીજા માળનો સંપર્ક કરી રેગ્યુલર કરવા ઉમેર્યુ છે.