Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયત હસ્તક મુખ્યમંત્રી સડક અને પ્રધાનમંત્રી સડક યોજનાના જ રોડ વધુ તુટ્યા છે, જે ગેરંટીવાળા હતા જેથી પંચાયતની પોલ ખુલી છે ઉપરથી એજન્સીઓને નોટીસના નાટક થયા પરંતુ તેનાથી ય કંઇ વળ્યુ નથી, ગામડાઓને જોડતા પાકા રસ્તાઓ જે મોટાભાગના ગેરન્ટી પીરીયડવાળા ડામર રોડ ચોમાસામાં તુટી જવાથી કોન્ટ્રાકટર અને ઇજનેરોની કથિત મીલીભગતનો ભ્રષ્ટાચાર ઉઘાડો થયો સાથે પ્રજાની કેવી હાલાકી થઇ તે તો યાતના સહન કરવા વાળા જ જાણે છે અને હજુય દરેક રોડ ચાલવા જેવા કે ટ્રાફીક માટે યોગ્ય નથી થયા એ પણ નિંભરતા બાદ તંત્રને શરમ નથી આવી,
આ અંગે વ્યાપક દેકારા વચ્ચે હવે આ રોડને રીપેર કરવા માટે નોટીસ ફટકારવાથી માંડીને થીંગડા મારવાની કામગીરી હાથ ધરી ગેરરિતીને છુપાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ હજુય હાલત તો ખરાબ જ છે, બીજી તરફ સરકારની તિજોરીમાંથી 7 કરોડનું નુકશાન થયાના આંકડા જાહેર થવા પામ્યા હતા છતાય કોઇએ રોડની આ હાલત વિશે ગંભીરતા ન લીધી તો પંચાયત માર્ગ મકાન સાથે તેને રક્ષણ આપનારાઓ પણ કોઇ પણ રીતે સંડોવાયેલા હશે તેવી એક ચર્ચા છે,
જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના આ વર્ષ ભારે વરસાદે પોલ ખોલી નાખતા જામનગર તાલુકામાં સૌથી વધુ 30 ડામર રોડ, કોઝવેને અને કાલાવડ તાલુકામાં 17 રસ્તાને ભારે નુકશાની સાથે રોડ તુટી જવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યાર બાદ પણ જવાબદારો ની નિંભરતા એમનેમ છે ને રોડ પણ જેવા તેવા થીંગડા બાદ એવા ને એવા છે, આ અંગે જોઇએ તો ધ્રોલ તાલુકામાં 5, લાલપુરમાં 5, જોડિયામાં 5, જામજોધપુર તાલુકામાં 5 રોડ તેમજ કોઝવે તુટી જવાથી 7 કરોડ રૂપિયા ઉપરનું અંદાજે નુકશાન ગયુ છે આ રકમ નાની નથી ઉપરથી સુવિધા બગડી તો પ્રજાની હાલત નુ શુ???
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ પ્રજાની સુખાકારી માટે એક ગામથી બીજા ગામ જોડતા તેમજ તાલુકા તથા જિલ્લા મથકે જોડતા પાકા રસ્તાની સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા ગાડા માર્ગ (નોન પ્લાન) રસ્તાઓની મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકીને છે, પરંતુ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના નામ સાથે જોડાયેલા જ મોટા ભાગના રસ્તાઓ તુટી જવાથી આ યોજના ટીકાપાત્ર બની છે.